શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. શ્રાદ્ધ પક્ષમાં હિન્દુ શાસ્ત્ર પ્રમાણે પિતૃઓને ખીર અને પૂરીનું તર્પણ અર્પણ કરીએ છીએ. અને એવું માનવામાં આવે છે કે કાગવાસ જે નાખીએ છીએ, તે સીધુ પિતૃઓ સુધી પહોંચે છે. જો કે છેલ્લે એ ખીર તો આપણે જ ખાવાની હોય છે. કાગની સાથે-સાથે આપણને પણ ખીરમાં નવો ફ્લેવર મળે તે માટે આજે અમે તમારી માટે સ્વાદિષ્ટ ખીરની રેસિપી લઈને આવ્યા છીએ. બસ તો આજે જ નોંધી લો અને પછી તમારા પિતૃઓના શ્રાદ્ધના દિવસે બનાવો આ અવનવી ખીર.
સૌપ્રથમ ચોખાને ચોખ્ખા પાણીમાં ધોઈને લગભગ 2 કલાક માટે પલાળી રાખો. બીજી તરફ સ્વાદાનુસાર બદામ, ખજૂર અને કાજુને ગરમ પાણીમાં લગભગ અડધો કલાક માટે પલાળી દો. નારિયળના નાના ટુકડા કરી લો. કિશમિશને પણ પલાળી લો. ત્યાર બાદ બધી જ સામગ્રીને બરાબર ધોઈ લો. હવે એક બાઉલ લો. પા ભાગના બાઉલને ડ્રાયફ્રુટ્સથી ભરી દો. દૂધના પાવડરને એક કપ દૂધમાં ઓગાળી લો. બાકીના દૂધને એક પેનમાં ગરમ કરવા માટે મૂકો. હવે ચોખામાંથી પાણી નીતારી લો. અને તેને ઉકળતા દૂધમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી દો. ચોખા ચઢી જાય ત્યાં સુધી તેને ઉકળવા દો. લગભગ 15 થી 20 મિનિટનો સમય લાગશે. આ દરમિયાન દૂધને હલાવતા રહેવું. જેથી તળિયે ચોંટે નહીં. ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરીને બીજી પાંચેક મિનિટ માટે ચઢવા દેવુ. હવે તેમાં ડ્રાયફ્રુટ્સ ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવા. ફરીથી દૂધને બીજી પાંચેક મિનિટ માટે ઉકળવા દેવું. હવે તેમાં દૂધમાં ઓગાળેલો મિલ્ક પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરીને બીજી પાંચેક મિનિટ ઉકળવા દેવું. ત્યાર બાદ ગેસ બંધ કરી દેવો. તૈયાર છે સ્વાદિષ્ટ કાશ્મીરી ખીર. પિતૃઓને ધરાવો ભોગ.