હાલમાં તૌક્તે વાવાઝોડાના કારણે રાજ્યમાં વરસાદની સીઝન છે. તો ઘરે બેઠા તમે પ્યાઝ એટલે કે ડુંગળીના પકોડા બનાવી લો તે યોગ્ય રહેશે. બેસ્ટ નાસ્તો બની શકે છે અને તેની સાથે તમે ચાની મજા માણી શકો છો.
સૌપ્રથમ ડુંગળીને છોલીને તેના પાતળી લાંબી કટ કરી લો. એવી રીતે જ લીલા મરચાંને ઝીણા સમારી લો. હવે એક મોટા બાઉલમાં સમારેલી ડુંગળી, લીલા મરચાં, કોથમીર, મીઠો લીમડો, આદુંની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર, જીરૂં પાવડર, ધાણા પાવડર અને મીઠું બારબાર મિક્સ કરી લો. ડુંગળીમાં બધા જ મસાલા એકરસ થઈ જાય એ રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ નાંખીને બરાબર મિક્સ કરી લો. ફરીથી બંને લોટ ડુંગળીમાં એકરસ થઈ જાય એ રીતે બરાબર મિક્સ કરી લો. હવે તેમાં જરૂર પૂરતું થોડુંક જ પાણી નાખીને ભજીયા માટેનું ખીરૂં તૈયાર કરવુ. ડુંગળીમાં મીઠું નાંખવાથી તેમાંથી પણ પાણી છૂટશે. આ ખીરૂં એકદમ ઘટ્ટ રાખવું. છેલ્લે તેમાં લીંબુનો રસ નાંખીને બરાબર મિક્સ કરી લેવું. આ દરમિયાન તિરુપતિ સિંગતેલ ગરમ કરવા માટે મૂકવું. આ તિરુપતિ સિંગતેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા ખીરામાંથી ગરમા-ગરમ પકોડા ઉતારો. પકોડા બંને બાજુથી લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે તળી લો. થોડીવાર માટે પેપર નેપકિન પર મૂકીને ગરમા-ગરમ પકોડાને ચટણી સાથે સર્વ કરો. તેની સાથે તમે મસાલેદાર ચા પણ બનાવી શકો છો.