ચાર વર્ષમાં પહેલી વાર રાજધાની લખનઉમાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના સરકારી આવાસ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચ્યાં હતા.
CM યોગી સામે પગલે ડેપ્યુટી સીએમ મૌર્યના ઘેર ગયા
કેશવ પ્રસાદ મૌર્યને મનાવવાનો પ્રયાસ
મૌર્ય યોગીથી નારાજ હોવાની ચર્ચા
યુપીની રાજનીતિની મોટી ખબર છે. છેલ્લા ઘણા સમયથી યોગી આદિત્યનાથ અને કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચે અણબનાવ હોવાની ચર્ચા ચાલી હતી. બન્ને વચ્ચેનો ખટરાગ પણ ઘણી વાર સામે આવ્યો છે. હજુ એક અઠવાડિયા પહેલા મૌર્ય કહી ચૂક્યા છે યુપીમાં સીએમનો ચહેરો દિલ્હીથી નક્કી થશે.
સંઘ અને સરકારના લોકો પણ સીએમની સાથે મૌર્યને મળ્યાં
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપરાંત ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્મા, સંઘના સરકાર્યવાહક દત્તાત્રેય હોશબોલે, સહ સરકાર્યવાહ કૃષ્ણ ગોપાલ પણ હાજર હતા. તમામ નેતાઓેએ મૌર્યના ઘેર બપોરનું ભોજન પણ લીધું અને કેશવ મૌર્યના પુત્ર અને વહુને આશીર્વાદ પણ આપ્યાં. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મોર્યના પુત્રના લગ્ન થયા છે. સીએમ યોગી નવ પરણિતને આશીર્વાદ આપવા આવ્યાં હોવાનું જણાવાયું છે પરંતુ રાજકીય નિષ્ણાંતોના મતે પાર્ટીમાં ચાલી રહેલી બબાલ શાંત પાડવા યોગીએ આ પગલું ભર્યું છે.
કેશવ પ્રસાદ મૌર્ય અને યોગી વચ્ચે ખટરાગ હોવાની ચર્ચા
યુપીના હવે પછીના મુખ્યમંત્રી કોણ તે સવાલના જવાબમાં મૌર્યે કહ્યું હતું કે યુપીના સીએમ કોણ હશે તેનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ કરશે. જોકે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ડેમેજ કન્ટ્રોલ કરીને યુપી ચૂંટણી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં લડવાની જાહેરાત કરી હતી. યોગી સરકારના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યે પણ કહી ચૂક્યા છે કેન્દ્રીય નેતૃત્વ જ નક્કી કરશે કે 2022 માં સીએમ કોણ હશે.
યોગી અને કેશવની વચ્ચે ક્યારે ક્યારે થયો ટકરાવ, જાણી લો
-2017 માં ભાજપની સરકાર બન્યા બાદ કેશવ પ્રસાદ મોર્યની નેમપ્લેટ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી હટાવી દેવાઈ.
- કેશવની આગેવાની વાળા પીડબલ્યુડી વિભાગના કામકાજની સમીક્ષા ખુદ યોગી કરતા હોવાથી મૌર્ય નારાજ બન્યા હતા.
- મુખ્યમંત્રીએ કામકાજની સમીક્ષા કરતા મોર્યે યોગી હેઠળના લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ભ્રષ્ટાચારની તપાસની માગ કરવા લાગ્યા.
- યોગી સામેના કેસો તો પરત ખેંચાઈ ગયા પરંતુ મોર્યનો વારો આવ્યો ત્યારે ફાઈલો અહીંથી ત્યાં જવા લાગી. પીએમઓની દખલ બાદ મોર્ય સામેના કેસો પરત ખેંચાયા.
- પીડબલ્યુડીના એમડીની નિયુક્તી પણ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી થતી હતી. કેશવ જે અધિકારીઓના નામ મોકલતા તેને બદલે યોગીના પસંદના અધિકારીઓને નિયુક્ત કરાયા હતા.