ઘરમાં જ્યારે કોઈ મહેમાન આવવાનું હોય અથવા રવિવારે ફરસાણ ખાવાનું મન થયું હોય ત્યારે તમે ફટાફટ વાટીદાળના ખમણ બનાવી શકો છો. આ માટેની સરળ રીત અમે આપને માટે લાવ્યા છીએ. ખમણની ઉપર મસ્ત વઘાર અને તેની સુગંઘ જ તેને ખાવા માટે લલચાવી દે છે. કોઈ પણ સમયે તમે તેને નાસ્તામાં પણ ખાઈ શકો છો. ચણાની દાળના બનેલા આ ખમણ ખાવા માટે હેલ્ધી પણ ગણવામાં આવે છે. તો તમે પણ બનાવી લો આ ખમણની થાળી.
સામગ્રી
2 કપ ચણાની દાળ
1/2 કપ ચોખા
4 ચમચી લીલા મરચા
1 ચમચી લીંબુના ફુલ
1 ચમચી હળદર
6 મોટી ચમચી તેલ
6 લીલા મરચા ઝીણા સમારેલા
કોથમીર જરૂર પ્રમાણે
નાની ચમચી રાઈ
1 ચમચી બેકીંગ સોડા
મીઠું સ્વાદ પ્રમાણે
રીત
આ રીતે તૈયાર કરો ખીરુ
એક કપ ચણાની દાળ અને ¼ ચોખાને મિક્સ કરીને બે પાણીમાં ધોઈ લેવા અને તેને ચાર કલાક માટે પાણીમાં પલળવા મુકી દેવા. ચાર કલાક બાદ દાળ અને ચોખા પલળી ગયા બાદ તેમાંથી બધું પાણી નીતારી લેવું. અને તેને એક બોલમાં કાઢી લેવા. હવે એક મિડિયમ મિક્સર જાર લેવો તેમાં પલાળીને પાણી નીતારેલા ચોખા અને દાળ ઉમેરવા. ત્યાર બાદ તેમાં હળદર અને લીંબુના ફુલ એડ કરવા. હવે તેમાં 2 ચમચી વાટેલા લીલા મરચા એડ કરવા. હવે તેમાં 1-2 ચમચી પાણી એડ કરી આ બધી જ સામગ્રીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લેવી. જરૂર પડ્યે તમને જો વાટવામાં તકલીફ થતી હોય તો તમે બીજું પાણી ઉમેરી શકો છો. પણ ધ્યાન રહે વધારે પાણી ના થઈ જાય. માટે 1-1 ચમચી જ પાણી ઉમેરવું.
હવે તૈયાર થયેલા ખીરાને એક તપેલીમાં કાઢી લેવું. હવે તેને આથો લાવવા માટે 6 કલાક ઢાંકીને બાજુ પર મુકી દેવું. છ કલાક બાદ ખીરામાં આથો આવી ગયો હશે. હવે ઢોકળા ઉતારવા માટે સ્ટીમરમાં પાણી ઉકળવા મુકી દેવું. અને ઢોકળાની થાળી પર તેલ ચોપડી લેવું. હવે આથો આવેલા ખીરામાં અરધી ચમચી બેકીંગ સોડા એડ કરવો.
ત્યાર બાદ તેમાં નાની ચમચી તેલ એડ કરવું. અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીને તેને બરાબર ફેંટી લેવું. હવે તેલ ચોપડેલી થાળીમાં તૈયાર કરેલું ખીરુ રેડી દેવું. થાળીને ઠપકારીને ખીરુ થાળીમાં સમતળ પાથરી લેવું.હવે થાળીને સ્ટીમરમાં મુકી દેવી અને સ્ટીમરને ઢાંકી દેવું. અને તેને 5 મિનિટ ફૂલ ફ્લેમ પર અને 20 મીનીટ મિડિયમ ગેસ પર કૂક થવા દેવું.25 મીનીટ બાદ તમે જોશો તો ખમણ બરાબર બફાઈ ગયા હશે. ખમણમાં છરી નાખીને તમે તે બરાબર બફાયા છે કે નહીં તે ચેક કરી શકો છો. વાટી દાળના ખમણ તૈયાર છે હવે તેના ચોસલા પાડી દેવા.
આ રીતે કરો વઘાર
ખમણના ચોસલા પડી ગયા બાદ તેના વઘાર માટે વઘારીયામાં 2 મોટી ચમચી તેલ લેવું. તેને ગરમ કરવા મુકી દેવું.હવે તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં રાઈ એડ કરવી. અને ગેસ બંધ કરી દેવો. રાઈ તતડી ગયા બાદ તેમાં ઝીણા સમારેલા લીલા મરચા એડ કરી દેવા. હવે વઘારને વાટીદાળના ખમણના ચોસલા પર રેડી દેવો. અને તેને બરાબર હલાવી દેવું. હવે તેમાં કોથમીર એડ કરવી અને તેને મિક્સ કરી લેવા. તો તૈયાર છે વાટીદાળના સૂરતી ખમણ. તેને તમે લીલી ચટની સાથે સર્વ કરી શકો છો.