કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે ડીજીપી પદ પરથી નિવૃત્ત થઇ રહેલા શિવાનંદ ઝાની ત્રણ મહિનાની મુદ્દત વધારવામાં આવી હતી. જ્યારે હવે આ ત્રણ મહિનાની મુદત પૂર્ણ થવા જઇ રહી છે ત્યારે જુલાઈ મહિનામાં પોલીસ તંત્રમાં રૂપાણી સરકાર મોટાપાયે ફેરબદલ કરવાની તૈયારીમાં છે.
પોલીસ બેડામાં રૂપાણી સરકાર મોટાપાયે ફેરબદલ કરવાની તૈયારીમાં
રાજ્યના પોલીસ વડા(DGP) શિવાનંદ ઝા નિવૃત થઇ રહ્યા છે
DGPની રેસમાં અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રાજ્યના પોલીસ વડા(DGP) શિવાનંદ ઝા નિવૃત થઇ રહ્યા છે ત્યારે તેની જગ્યાએ નવા DGPની નિમણૂંક થવાની શક્યતાઓ છે. જોકે શિવાનંદ ઝાએ વધુ ત્રણ મહિનાની મુદ્દત માંગી છે પરંતુ એવું નક્કી મનાઇ રહ્યું છે કે, વધુ એક એક્સ્ટેન્શન અશક્ય લાગ છે.
DGPની રેસમાં ગુજરાત કેડરના 1985ની બેચના આઇપીએસ
રાજ્ય પોલીસના વડા તરીકે શિવાનંદ ઝાના નિવૃત્ત થવા પર DGPની રેસમાં ગુજરાત કેડરના 1985ની બેચના આઇપીએસ અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા અગ્ર સ્થાને છે.
રાકેશ અસ્થાનાની પણ DGP બનવાની શક્યતાઓ
હાલ ભારત સરકારમાં કેન્દ્રીય પ્રતિનિધિ તરીકે સેવા આપી રહેલા રાકેશ અસ્થાનાની પણ DGP બનવાની શક્યતાઓ છે. તેમના રાજ્ય પોલીસ દળના વડા તરીકે પેરેન્ટ કેડરમાં પાછા ફરવાની સંભાવના પણ છે. અસ્થાનાએ ગુજરાત કેડરના 1984 બેચના આઈપીએસ છે અને તેમને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની નજીકના માનવામાં આવે છે. જોકે, એવી પણ માહિતી મળી રહી છે કે, અસ્થાનાની આગામી વર્ષે જાન્યુઆરીમાં નવા સીબીઆઈ ચીફ તરીકે નિમણૂક થઈ શકે છે.
IPS આશિષ ભાટિયાની નવા ડીજીપી તરીકે નિમણૂંકની સંભાવના
હવે જો IPS આશિષ ભાટિયાની નવા ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવે તો અમદાવાદમાં નવા પોલીસ કમિશનરની નિમણૂંક સરકારે કરવાની રહેશે. અમદાવાદના પોલીસ કમિશનરના પ્રબળ દાવેદાર તરીકે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ના ડિરેક્ટર કેશવ કુમાર અને વિશેષ પોલીસ કમિશનર (ક્રાઈમ બ્રાંચ) અજય તોમરને જોવામાં આવી રહ્યા છે.
અનુપમસિંહ ગેહલોતની પણ બદલી થવાની સંભાવના
વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પણ બદલી થવાની સંભાવના છે. અગાઉ તેઓ રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હોવાથી તેઓ સીએમ રૂપાણી અને તેમના પરિવારના નજીકના હોવાનું મનાય છે. સુત્રોએ જણાવ્યું હતું કે, જો તોમરને પોલીસ કમિશનર બનાવવામાં આવશે તો ગેહલોતને સૌથી મહત્વપૂર્ણ પદ ક્રાઈમ બ્રાંચમાં સ્પેશિયલ કમિશનર તરીકે નિમણૂંક થઇ શકે છે. તેથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચના વડા તરીકે ગેહલોતને પસંદ કરશે.
એકે જાડેજાની નિવૃત્તિ બાદ અમદાવાદ રેન્જ આઇજીની પોસ્ટ ખાલી
એકે જાડેજાની નિવૃત્તિ બાદ અમદાવાદ રેન્જ આઇજીની પોસ્ટ ખાલી છે. હાલમાં ડીબી વાઘેલાને પદનો વધારાનો હવાલો સોંપાયો છે. સરકારના અંગત સૂત્રોના જણાવ્યા અનુસાર, સીએમ રૂપાણી રાજકોટ રેન્જના આઈજી સંદીપ સિંહને અમદાવાદ આઇજી તરીકે લાવવાની વિચારણા કરી રહ્યા છે. સંદિપસિંહે અગાઉ અમદાવાદ ગ્રામ્ય એસપી તરીકે સેવા આપી હતી. ત્યારે સંદીપ સિંહ રાજકોટમાં પોસ્ટિંગ હોવાને કારણે સીએમ રૂપાણીની ખૂબ નજીકના ગણાય છે.
ગાંધીનગર રેન્જના આઇજી મયંકસિંહ ચાવડાની બદલી કરીને રાજકોટના IG બનાવવામાં આવે તેવી સંભાવના છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની વડોદારના પોલીસ કમિશનર તરીકે બદલી થઇ શકે છે. અગ્રવાલ સીએમ રૂપાણી અને તેના પરિવારની પણ ખૂબ નજીક છે.
ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સીએમ રૂપાણી તાજેતરમાં જ ગૃહ વિભાગમાં બદલીઓ અને પોસ્ટિંગ્સમાં ખૂબ જ સક્રીય થયા છે. જેથી તેઓ વિવિધ સ્થળોએ ઉચ્ચ હોદ્દાઓ પર તેમના વિશ્વાસુ અધિકારીઓની નિમણૂંક કરી શકે.જોકે ડીજીપી અને પોલીસ કમિશનર અમદાવાદ જેવી નિર્ણાયક પોસ્ટિંગો દિલ્હીથી નક્કી કરવામાં આવે છે, પરંતુ તે જોવાનું રહ્યું કે આ વખતે પણ દિલ્હી નિર્ણય લે છે કે પછી ગાંધીનગરથી નિર્ણયો લેવા દેવામાં આવશે.