અમદાવાદના સાણંદ નજીક આવેલ ગોધાવી ગામ પાસે ડેકોરેશનના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી.
ડેકોરેશનનાં ગોડાઉનમાં આગ
ફાયરની 17 ગાડીઓ ઘટનાસ્થળે
આગ લાગવાનું કારણ અકબંધ
મળતી જાણકારી પ્રમાણે, ગોધાવીના બાપા સીતારામ ડેકોરેશન સર્વિસમાં સાંજના સમયે એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જો કે, બનાવ અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 17 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસ હાથ ધર્યા હતા.
આગનું કારણ અકબંધ
ડેકોરેશનનાં ગોડાઉનમાં લાગેલી આગ વિકરાળ બની હોવાથી ગોડાઉનમાં રહેલ ફાયર સેફ્ટી નિર્થરક નીવડી હતી. જો કે, આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
ગોધાવી ખાતે આવેલ બાપા સીતારામ ડેકોરેશન સર્વિસના માલિક તેજેન્દ્રસિંહ વાઘેલાએ VTV સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આગ ફાટી નીકળ્યા બાદ ટૂંકા સમયગાળામાં વિકરાળ બની જતા ગોડાઉનમાં રહેલ ફાયર સેફ્ટી કામે લાગી નહોંતી.
આશરે 5 કરોડ રૂપિયાની આશંકા
તો આગને પગલે આશરે 5 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવી શકાય છે. જો કે, આગ લાગી ત્યારે કોઇપણ વ્યક્તિ હાજર નહીં હોવાથી મોટી જાનહાનિ પણ નીવારી શકાઈ છે.
અમદાવાદમાં વર્ષ 2020-21માં આગના 1600 જેટલા બનાવો
અત્રે જણાવી દઇએ કે, રાજ્યમાં આગની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવી રહી છે. ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો વર્ષ 2020-2021 દરમિયાન આશરે 1600 જેટલા બનાવો બન્યા છે.