વિદ્યાર્થીઓને ગણવેશ/બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરાશે : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક નિગમનો નિર્ણય
વિદેશમાં ભણવા જવા માટે લોન યોજનામાં બદલાવ કરાયો
શિક્ષણ વિભાગે પણ 3 મહત્વના નિર્ણય કર્યા
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક નિગમે પણ મોટો નિર્ણય લીધો છે.વિદેશમાં ભણવા જવા માટે લોન યોજનામાં બદલાવ કરવામાં આવ્યો છે.લોન યોજનાની જોગવાઇમાં ફેરફાર કરી એક વર્ષ કે તેથી વધુ સમયના અભ્યાસક્રમમાં યોજનાનો લાભ મળશે તેવી જાહેરાત કરવામા આવી છે. એક જ પરિવારમાં વધુમાં વધુ 2 વિદ્યાર્થી જ લાભ લઇ શકશે. એક પરિવારના બીજા વિદ્યાર્થીને બજેટની ઉપલબ્ધતાને ધ્યાને રાખી અરજી સ્વીકારાશે. 2.5 લાખથી વધુ આવક ધરાવતા પરિવારે આઇટી રિટર્ન આપવું પડશે. 2.5 લાખથી ઓછી આવકવાળા પરિવારે સ્વ-ઘોષણા માન્ય રખાશે.
VTV ના અહેવાલનો પડઘો
તો આ તરફ રાજ્યની બિન અનુદાનિત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના હિતમાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના હિતમાં બિન અનુદાનિત ખાનગી શાળા સામે કડક વલણ અપનાવી દંડનીય કાર્યવાહિથી લઇને શાળા કે સંસ્થાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઇઓ કરવામાં આવી હોવાનું શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ છે. આપને જણાવી દઈએ કે વાલીઓના આ પ્રશ્નને સતત VTVએ અહેવાલ પ્રસારિત કરી ગુજરાત સરકાર સમક્ષ મૂક્યો હતો.
શાળા/સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ થઈ શકે
શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ કે, વિદ્યાર્થીઓને ગણવેશ/બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવશે. એટલુ જ નહિ, અનિયમિતતા આચરતી ખાનગી શાળાઓ સામે પહેલી વખતમાં રૂ. ૧૦ હજાર અને ત્યારબાદના અનિયમિતતાના દરેક કિસ્સામાં રૂ. ૨૫ હજાર દંડ કરવાની શિક્ષણ વિભાગ દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત પાંચ કે તેથી વધુ વખત અનિયમિતતા આચરે તો તેવા કિસ્સામાં શાળા/સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.મંત્રીએ કહ્યુ કે, વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ સંસ્થા કે એજન્સી પાસેથી કે ચોક્કસ માર્કા કે કંપની પાસેથી ખરીદી કરવા માટે આગ્રહ રાખી શકાશે નહીં કે ફરજ પાડી શકાશે નહીં. અગાઉ કરવામાં આવેલી જોગવાઈઓનું ચુસ્તપણે પાલન થાય તે માટેની તકેદારી રાખી, તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને અંગત રસ લઈ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવા આદેશો આપી દેવામાં આવ્યા છે.
ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું પ્રવાસ ગોઠવી બાળકોને અપાશે જ્ઞાન
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ અન્ય એક જાહેરાત કરતાં જણાવ્યું કે , રાજ્યના બાળકો શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક ધરોહર સમાન કલા વારસાથી પરિચિત થાય થાય તે માટે રાજ્ય સરકારે રાજ્યની સરકારી શાળાના બાળકોને શિક્ષણની સાથે સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું જ્ઞાન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોને શિક્ષણની સાથે સાથે રાજ્યના કલા વારસાથી પરિચિત કરવા અને ઐતિહાસિક ધરોહર સમાન આ વારસાનું આવનારી પેઢીમાં જતન થાય તેવા આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે.
કયા કયા સ્થળનો પ્રવાસ કરાવાશે
તેમણે ઉમેર્યું કે, રાજ્યભરની સરકારી શાળાઓમાં અપાતાં દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત રાજયની અંતરિયાળ વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને એક્સપોઝર વીઝીટના ભાગરૂપે ગુજરાતના ઐતહાસિક તથા સાંસ્કૃતિક સ્થળોનો પ્રવાસ કરાવાશે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વડનગરના ભવ્ય ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસાનો બહોળો પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ સ્થળ એવા વડનગરના ઐતિહાસિક સ્મારકો જેવા કે કીર્તિ તોરણ, તાનારીરી સ્મારક, હાટકેશ્વર મંદિર, શર્મિષ્ઠા તળાવ તથા સતલાસણાનું તારંગાહીલ, મોઢેરાનું સુર્યમંદિર, સિધ્ધપુરનું બિંદુ સરોવર, પાટણની રાણકીવાવ જેવા સ્થાપત્યોની માહિતી બાળકોને આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. શાળાના બાળકોના આ સ્થળોની મુલાકાત માટેનો પ્રવાસ ખર્ચ સહિત અન્ય આનુષાંગિક વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા પૂરી પડાશે
ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં રમતોત્સવનું આયોજન
ભાવનગરમાં શિક્ષણમંત્રી જીતુ વાઘણીએ મહત્વની જાહેરાત કરતાં કહ્યું છે કે રાજ્યના તમામ યુનિવર્સિટીમાં રમતોત્સવનું આયોજન થશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શાળા, કોલેજના વિદ્યાર્થીઓ, અભ્યાસ ન કરતા યુવાનો માટે રમતોત્સવ યોજવામાં આવશે.આગામી દિવસોમાં રાજ્યનો શિક્ષણ વિભાગ રમતોત્સવ ઉજવશે તેવી માહિતી પણ મંત્રી વાઘાણીએ આપી છે.