તાલાલાના એક-એક ગામ દીઠ 2થી 3 કરોડની નુકસાની હોવાની ચર્ચા તો રાજકોટના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં પપૈયાંના પાકમાંથી આશરે 10 હજાર જેટલા છોડનું મોટું નુકસાન
તૌકતે વાવાઝોડાએ મચાવી તબાહી
પપૈયાના પાકને ભારે નુકસાન
15 મહિનાની મજૂરી પાણીમાં !
રાજકોટના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં તૌકતે વાવાાઝોડાએ ભારે તબાહી સર્જી છે. વાવાઝોડાના કારણે પપૈયાના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. 17 વીઘામાં વાવવામાં આવેલ પપૈયાંના પાકમાંથી આશરે 10 હજાર જેટલા છોડનું નુકસાનમાં ગયા છે. ખેડૂતોને આશરે 7થી 8 લાખનું આર્થિક નુકસાન થયું છે. ખેતરમાં પડી ગયેલા પોપૈયા ટુટીફુટી બનાવવા લાયક પણ ન રહેતા ખેડૂતોની હાલત પડ્યા પર પાટુ જેવી થઈ છે. તો ખેતરમાં પડેલા પપૈયાના પાકને ખસેડવા માટે પણ ખેડૂતોને ખર્ચ કરવો પોસાય તેમ ન હોવાથી હાલ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ગીર સોમનાથમાં તૌકતે વાવાઝોડાના તાંડવથી તારાજીના દૃશ્યો સામે આવ્યા છે. વાવાઝોડાના કારણે કેસર કેરીના પાકને કરોડો રૂપિયાની નુકસાની થઈ છે. તાલાલાના એક-એક ગામ દીઠ 2થી 3 કરોડની નુકસાની હોવાની ચર્ચા છે. તાલાલા-સાસણ ગીર વિસ્તારમાં આંબાના મોટી સંખ્યામાં બગીચા આવેલા છે. 30 વર્ષ જૂનાં આંબાઓ પણ જમીનદોસ્ત થયા છે. નુકસાનીનો સરવે કરી તાત્કાલિક સહાય આપવા ખેડૂતોની માંગ છે.