Team VTV04:16 PM, 02 Dec 21
| Updated: 04:19 PM, 02 Dec 21
તાઉતે બાદ ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે પણ ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચ્યું હતું જે બાદ હવે કમોસમી વરસાદ થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
અમરેલીમાં કમોસમી વરસાદ
વરસાદ સાથે 50 કિમીની ઝડપે પવન ફૂંકાયો
બાગાયતી પાકને ભારે નુકસાન
કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અમરેલી જિલ્લામાં ગઇકાલે રાત્રે વરસાદની સાથે 50 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો .જેને લઈને બાગાયતી પાકોમાં ભારે નુકસાન થયુ હતું. ઉલ્લેખનીય છે કે અમરેલીના રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયતી ખેતી કરવામાં આવે છે. ભારે પવન ફૂંકાતા ખેડૂતોના કેળા સહિતના પાકમાં ભારે નુકસાન થયુ હતું. જેને લઈને ખેડૂતોએ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરીને તાત્કાલિક સહાય ચૂકવવા માટે માગ કરી હતી.
બાગાયતી પાક નિષ્ફળ જાય તેવી ભીતિ
અમરેલી જિલ્લામાં ખાસ કરી ને શિયાળુ પાક માં ઘઉં અને ચણા અને બાગાયતીમાં કેળાનો મુખ્ય પાક છે ત્યારે આ પાક સાવ ફેલ જાય તેવી ભીતિ સેવાઇ રહી છે ગત રાત્રી દરમિયાન 50 કિમી ઝડપે પવન ફૂંકાયો હતો જેથી અહીં કેળાના પાક ને નુકશાન થયું છે સાથે સાથે અહીં એરંડાનો પાક વતા ઓછો હતો તે પણ ખરી જવા પામ્યો છે જેથી અહીં કોષ્ટલ બેલ્ટમાં ખાસ કરીને ખેડૂતોને નુકશાની થવા પામી છે અહીં ખેડૂતો માંગ કરી રહ્યા છે દીપડીયા વાવેરા ધારેશ્વર રાજુલા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નુકશાની થઈ છે જેનો સર્વે તાકીદે કરવામાં આવે
શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો
તો આ તરફ સમગ્ર રાજ્યની સાથે સાથે સાબરકાંઠાના ખેડૂતોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે શાકભાજી પકવતા ખેડૂતોને ભારે નુકસાની વેંઠવાનો વારો આવ્યો છે. શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. હાલના તબક્કે વાત કરીએ તો 20 કિલો ફુલાવરનો ભાવ એક સપ્તાહ પહેલા રૂ.200ની આસપાસ હતા જે હવે રૂ.80થી 120ની આસપાસ છે. આમ મરચા,ટામેટા સહિતની અન્ય શાકભાજીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. જેને લઈને ખેડૂતો ભારે પરેશાન જોવા મળી રહ્યા છે.