રાજકોટ ક્રાઈમબ્રાંચ ઉપર તોડકાંડના આક્ષેપના મામલે દિન પ્રતિદિન ચોંકાવનારા ખુલાસાઓ સામે આવે છે. ત્યારે તપાસ અધિકારીએ આરોપી અલ્તાફનું જેલમાં જઈને નિવેદન લીધું હતું.
રાજકોટ ક્રાઈમબ્રાંચ ઉપર આક્ષેપનો મામલો
આરોપી અલ્તાફનું જેલમાં જઈને નિવેદન લેવાયું
અલ્તાફની ધરપકડની તારીખ ખોટી દર્શાવાઈ હતી
રાજકોટમાં થાકોળામાં એક યુવકની હત્યાના ગુનામાં ફરાર બુટલેગર અલ્તાફને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઈ રૂા.95 લાખનો તોડ કરી તમામ નિતિનિયમો નેવે મુકયાના ચોંકાવનારા આરોપોની હાલ તપાસ કરાઈ રહી છે. જેના પગલે અગાઉ PSI જેબલીયા, પંચ વગેરેના નિવેદન લીધા બાદ રાજકોટ તોડકાંડના તપાસ અધિકારી ડીસીપી પ્રવિણકુમાર મીણાએ આરોપી અલ્તાફનું જેલમાં જઈ નિવેદન લીધુ હતું.
આરોપી અલ્તાફનુ DCPએ 2 કલાક સુધી નિવેદન લીધુ
રાજકોટ તોડકાંડના તપાસ અધિકારી ડીસીપી પ્રવિણકુમાર મીણાએ આરોપી અલ્તાફનું સતત 2 કલાક સુધી નિવેદન લીધું હતું.મહત્વનું છે કે, અલ્તાફની ધરપકડમાં નીતિ-નિયમો નેવે મુકાયાનો આક્ષેપો લાગ્યા છે.
અલ્તાફની ધરપકડની તારીખ ખોટી દર્શાવાઈ હતી
ઉલ્લેખનીય છે કે રાજકોટના થોરાળાના મર્ડર કેસમાં વોન્ટેડ અલ્તાફને અમદાવાદમાંથી ઝડપી લીધા બાદ ક્રાઈમ બ્રાન્ચે ચોટીલાથી ધરપકડ બતાવી હતી. પરંતુ હકીકત કંઈ જુદી જ હતી. અલ્તાફને ઝડપી લીધા બાદ ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડની તારીખ ખોટી દર્શાવાઈ હતી.
તમામના નિવેદન લીધા બાદ રિપોર્ટ તૈયાર કરાશે
મહત્વનું છે કે, આ પ્રકરણ સાથે સંડોવાયેલા તમામ પક્ષોના નિવેદનો લેવાઈ ગયા બાદ રીપોર્ટ તૈયાર કરી વરિષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવશે.રીપોર્ટમાં જો કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી દોષિત જણાશે તો તેના વિરૃધ્ધ ફરજીયાતપણે પગલા લેવા પડશે.