સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ અને તેમના મળતીયાઓ દ્વારા ઉઘરાણીનો મુદ્દો ખુબ ચર્ચાઈ રહ્યો છે તેવામાં વકીલ મેહુલ બોઘરા પર હુમલા બાદ આજે વધુ 37 TRB જવાનોને ડિસમીસ કરવામાં આવ્યા છે.
વકીલ મેહુલ બોઘરા પર હુમલા બાદ સુરત પોલીસ એક્શનમાં
37 TRB જવાનોને ડિસમીસ કરવામાં આવ્યા
વાહનચાલકો સાથે ગેરવર્તણૂંકને લઇ કાર્યવાહી
થોડા સમય અગાઉ સુરતના સરથાણા વિસ્તારમાં વાહનોના દંડ ઉઘરાવતી પોલીસનો લસકાણા પોલીસ ચોકી પાસે પહોંચીને મેહુલ બોઘરાએ સોશિયલ મીડિયામાં લાઈવ કરવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ગુજરાતભરમાં ગાજી હતી. આ પ્રકરણ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે અને એક ઝાટકે 37 TRB જવાનોને ડિસમીસ કરી દેવામાં આવ્યા છે. વાહનચાલકો સાથે ગેરવર્તણૂંકને લઇ ઉચ્ચ કક્ષાએથી આકરી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક જવાનો લાંબા સમયથી ફરજ પર હાજર રહેતા ન હતા. જેને પણ ઘરભેગા કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે TRB જવાનો નાણાંની ઉઘરાણી કરતા હોવાની પણ ફરિયાદો મળી હતી. જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ 9 જેટલા TRB જવાનોને ફરજ પરથી દૂર કરાયા હતા
તંત્ર દ્વારા 9 TRB જવાનોને છુટ્ટા કરાયા
ઉલ્લેખનીય છે કે, સુરતના વકીલ મેહુલ બોઘરા પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે આ ઘટના દરમ્યાન ફરજમાં બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા 9 TRB જવાનોને છુટ્ટા કરાયા છે. ટ્રાફિકમાં ઉઘરાણાની બુમ વચ્ચે 9 TRB જવાનની હકાલપટ્ટી કરવામાં આવી છે. ચાલુ ફરજે ફોનનો ઉપયોગ કરવો તેમજ પોઇન્ટ પર ગેરહાજરીને લઈને તંત્ર દ્વારા આ પગલાં લેવાયા.
જાણો શું હતી સમગ્ર ઘટના?
તમને જણાવી દઇએ કે, થોડાંક દિવસ અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી, સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આવતી કાલે TRBના સુપરવાઈઝર સાજન ભરવાડે વકીલ મેહુલ બોઘરા પર કરેલા હુમલાનાં વિરોધમાં સુરતના તમામ વકીલો કોર્ટથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢશે.