અમદાવાદ: હંમેશા ઝઘડો કરતી વખતે 'હું તને જોઇ લઇશ' તેવું વારંવાર કહેવામાં આવે છે. જો કે, આવું બોલનારે કોઇપણ પ્રકારે ડર રાખવાની જરૂર નથી. કારણ કે, ગતરોજ ગુજરાત હાઇકોર્ટ એક મોટો ચુકાદો આપ્યો છે.
રાજ્યની વડી અદાલતે 'હું તને જોઇ લઇશ' આ વાક્યને ધમકી ગણવાનો ઇન્કાર કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે એક વકીલ વિરૂદ્ધ દાખલ થયેલ FIRને અમાન્ય જાહેર કરીને આ નિર્ણય સંભળાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વકીલ મોહમ્મદ મોહસિન છાલોતિયાએ 2017માં કેટલાક પોલીસકર્મીઓને 'જોઇ લેવાની' અને હાઇકોર્ટમાં ઘસડી જવાની ધમકી આપી હતી. ત્યારથી વકીલ જેલમાં બંધ છે. જો કે, આ મામલે વકીલે પોતે જ પોલીસ વિરૂધ્ધ FIR નોંધાવીને હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
આ મામલા અંગેની જસ્ટિસ એ.એસ. સુપેહિયાએ કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે, કોઈપણ ધમકીથી પીડિતને ભય લાગવો જોઈએ પરંતુ એવું અહીં કઈ જ નથી. તેમજ હું તને જોઈ લઈશ આ શબ્દો કોઈ રીતે કાયદાની કલમ ૧૯૫ અંતર્ગત આપવામાં આવેલ ધારાધોરણોમાં બંધ બેસતા નથી જેથી તેને ગુનાહિત ઈરાદાથી આપવામાં આવેલ ધાકધમકી ગણી શકાય નહીં.
આપને જણઆવી દઇએ કે, આ મામલે મળેલ વિગતો મુજબ સાબરકાંઠાના વકીલ છાલોટિયા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રહેલા પોતાના કલાયન્ટને મળવા પહોંચ્યા હતા જે દરમિયાન તેમને આરોપી સાથે વાતચીત કરવાથી પોલીસ અટકાવ્યા હતા. જેથી વકીલે કાયદાનો હવાલો આપીને પોલીસને પોતાની ફરજનું ભાન કરાવતા બંને વચ્ચે આકરી બોલાચાલી થઈ ગઈ હતી.