હૈદરાબાદમાં દુષ્કર્મના આરોપીઓના એન્કાઉન્ટરને લઇ દેશભરમાં લોકોએ ઉજવણી કરી છે. ત્યારે મહુવાના ઉદ્યોગપતિ રાજભા ગોહિલે હૈદરાબાદ પોલીસની કામગીરીને બિરદાવી છે. હૈદરાબાદ પોલીસને એક લાખનું ઇનામ જાહેર કર્યું છે. મહુવાના ઉદ્યોગપતિ પોલીસ વેલ્ફેર ફંડમાં આ નાણા જમા કરાવશે.
હૈદરાબાદ પોલીસની કામગીરીની પ્રશંસા
મહુવાના ઉદ્યોગપતિએ બિરદાવી કામગીરી
એક લાખનું ઇનામ કર્યું જાહેર
હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ હત્યા કરનાર ચારેય આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે. શુક્રવારે સવારે હૈદરાબાદના એનએચ 44 પર પોલીસ સાથે અથડામણમાં આરોપીએને ઠાર મારવામાં આવ્યા છે. ત્યારે આ ઘટનાને ગુજરાતમાં બિરદાવવામાં આવી રહી છે. ભાવનગરના મહુવાના ઉદ્યોગપતિ રાજભા ગોહિલે એક લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.
રાજભા ગોહિલે જણાવ્યું હતું કે, હું મહુવાથી હૈદરાબાદ જઇને પોલીસનું સન્માન કરીશ. હું દેશની પોલીસને એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરૂ છું. આ રકમ હું હૈદરાબાદ જઇને પોલીસને આપીશ. પોલીસનું કાર્ય સન્માનને લાયક છે. મારી દેશની બહેન-દીકરીઓ સામે કોઇ આંખ ઉંચી ન કરે તેવું પોલીસે કાર્ય કર્યું છે જે બિરદાવવા લાયક છે. જય હિન્દ...
મહત્વનું છે કે, 27 નવેમ્બરે આરોપીઓએ મહિલા ડૉક્ટરની સાથે બળાત્કાર કર્યો હતો અને બાદમાં જીવતી સળગાવી દેવાઇ હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટર પર ઘણા સવાલ પણ ઉભા થઇ રહ્યા છે, જ્યારે ઘણા લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. તો કેટલાક લોકો દ્વારા ઇનામની પણ જાહેરાત કરવામાં આવી રહી છે. રાજ્યમાં લોકો ફટાકડા ફોડી, મીઠાઇઓ વહેંચીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.