મહિસાગર જિલ્લાના જંગલમાં 3 દિવસ પહેલા વાઘ દેખાયાના પુરાવા મળી આવ્યા હતા. વન વિભાગે અલગ અલગ પાંચ ટીમો બનાવીને તપાસ હાથ ધરી. ત્યારે હવે નાઈટ વીઝન કેમેરામાં વાઘ દેખાયો. સંતરામપુરના સંતના જંગલમાં વાઘ દેખાયો છે.
મહત્વનુ છે કે મહિસાગર પંચમહાલ જિલ્લાની હદ પર આવેલા પાનમ ડેમ પાસેના ગઢગામમાં જંગલ વિસ્તારના રસ્તાઓ પર એક શિક્ષકે આ વાઘનો ફોટો પાડ્યો હતો. મહેશભાઈ મેરા નામના આ શિક્ષક લુણાવાડા તાલુકાના પ્રાથમિક શાળામાં શિક્ષક સાંજના સમયે પસાર થઈ રહ્યા હતા ત્યારે જોગણી માતાના મંદિર પાસે વાઘ રસ્તો ક્રોસ કરતા દેખાયો હતો.
તેમણે વાઘનો ફોટો પોતાના કેમેરામાં પાડ્યો હતો. વનવિભાગે તપાસ કરતા તારની વાડમાં વાઘના વાળ અને પંજાના નિશાન પણ મળી આવ્યા હતા. વાઘ દેખાવાની વાત વહેતી થતા જે જગ્યાએ વાઘ દેખાયો હતો ત્યાં વન વિભાગની ટીમે તપાસ કરી હતી. જો કે વન વિભાગ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી ન હતી. ત્યારે હવે વનવિભાગના નાઈટ વીઝન કેમેરામાં વાઘ દેખાતા પુષ્ટિ થઈ છે.
મહિસાગરના લુણાવાડા તાલુકાના જંગલમાં વાઘ દેખાવા મામલે વનવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વનવિભાગને તપાસમાં હજુ સુધી વાઘના પંજા જ મળ્યા છે. અત્યાર સુધી 25 સભ્યની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. જોકે હવે 200 સભ્યની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કડાણા સંતરામપુર લુણાવાડાના જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ વનવિભાગે નાઈટ વિઝન કેમેરા દ્વારા પણ સર્ચ હાથ ધર્યું છે
50 વર્ષ પહેલા ગુજરાતમાં વાઘનો હતો વસવાટ
એક જમાનામાં ગુજરાતમાં વાઘ હોવાની વાતો હતી. ગુજરાતમાં 27 વર્ષ પહેલા ડાંગમાં વાઘ દેખાયો હતો ત્યાર બાદ આવરનવાર આદિવાસી પટ્ટામાં વાઘ દેખાયાની વાતો ચાલતી હતી. 50 વર્ષ પહેલા ગુજરાતમાં વાઘ વસવાટ કરતા હતા.
વિજયનગરથી લઈને ડાંગ સુધી વાઘ વસવાટ કરતા હતા. ઈડરનાં જંગલોમાં વાઘ દેખાયાની વારંવાર વાતો સામે આવતી હતી. એકમાત્ર રાજ્ય જ્યાં એક સમયે ચિત્તા વાઘ સિંહ અને દીપડા વસાવાટ કરતા હતા. હાલમાં ગુજરાતમાં સિંહ અને દિપડા જ જંગલોમાં વસવાટ કરે છે. ત્યારે હવે આ વાત કેટલી સાચી તે વન વિભાગની તપાસ બાદ સામે આવશે.