ભાજપના સાંસદ મનસુખ વસાવાના નિવેદન સામે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાની આકરી પ્રતિક્રિયા.
મનસુખ વસાવા અને BTP રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા વચ્ચે વાકયુદ્ધ
છોટુ વસાવા અને મહેશ વસાવાએ આદિવાસીઓ માટે કઈ નથી કર્યું: મનસુખ વસાવા
અમે જેટલું કામ કર્યું છે એટલું તો તમારાથી નહીં થાયઃ મહેશ વસાવા
ગુજરાતમાં વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમ્યાન આદિવાસીઓના પ્રશ્ન અંગે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા આમને-સામને આવી ગયા હતા.
આદિવાસીઓ માટે ભૂતકાળમાં મહેશ વસાવા અને છોટુ વસાવાએ કશું જ નથી કર્યું : મનસુખ વસાવા
સાંસદ મનસુખ વસાવાએ BTP રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા અને છોટુ વસાવાને જાહેરમાં લલકાર્યા હતા. બંનેના સામસામેના નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મનસુખ વસાવાએ કહ્યું કે, 'છોટુ વસાવા અને મહેશ વસાવાએ આદિવાસીઓ માટે કંઈ કર્યું નથી. તેઓએ આદિવાસીઓને છેતરવાનું કામ કર્યું છે. આવા લોકોથી સાવચેત રહેવાનું છે. કારણ કે હું જાણું છું ત્યાં સુધી લોકોમાં ગેરસમજ ઉભી કરવાનો આ લોકો પ્રયત્ન કરશે. હું એમની માનસિકતા જાણું છું. આદિવાસીઓ માટે ભૂતકાળમાં તેઓએ કશું જ નથી કર્યું. અને જો કર્યું હોય તો છોટુ વસાવા અને મહેશ વસાવા મારી સામે આવે અને મારી સાથે વાર્તાલાપ કરે. આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ, શિસ્તબદ્ધમાં માનનારા આપણે કાર્યકર્તા છીએ.'
છોટુભાઈ સામે બોલવાની તમારી હેસિયત નથી : મહેશ વસાવા
ત્યારે સાંસદ મનસુખ વસાવાને સામે મહેશ વસાવાએ સણસણતો જવાબ આપતા કહ્યું કે, 'મનસુખભાઇને એ ખબર હશે કે નહીં એ મને ખબર નથી પણ છોટુભાઇ તો સાત વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, ને છોટુભાઇ ભાજપ-કોંગ્રેસ વગર ચૂંટાય છે. ભાજપનું કહેવું છે કે, છોટુભાઇ વસાવા અને મહેશ વસાવાએ શું આપ્યું છે, અરે છોટુભાઇ વસાવા, મહેશ વસાવા અને તેમના સાથીમિત્રોએ સંવિધાન અધિકારી યાત્રા ગુજરાતની અંદર કાઢી અને લોકોને જાગૃત કર્યા. છોટુભાઈ વસાવા વર્ષોથી આદિવાસીઓના હક્ક માટે લડ્યા છે. અમે જંગલ-જમીન માટે લડ્યા અને લોકોને જમીનો અપાવી. અમે આંદોલનો કરી આદિવાસીઓના હક્કો અપાવ્યા. તમારી સામે આવવાની વાત તો શું કરો, પણ અમારી સામે તો તમારી બોલવાની હેસિયત પણ નથી.'