આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નું ખરાબ પ્રદર્શન સતત જારી છે. ગઈ કાલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સીએસકેનો સાત રને પરાજય થયો.
વર્તમાન આઇપીએલમાં સીએસકેનો આ સતત ત્રીજો પરાજય છે. આ સિઝનમાં સીએસકેનો રંગ પોતાના અસલી અંદાજમાં જોવા મળ્યો નથી. સૌથી મોટી વાત એ છે કે એમ. એસ. ધોનીની અંદર પણ એ આગ જોવા નથી મળી રહી, જેનાથી દરેક વિરોધી કાંપતો હતો. ગઈ કાલે ધોનીની અણનમ ૪૭ રનની ઇનિંગ્સમાં ઘણી એવી ચીજો જોવા મળી, જેના પરથી એવું લાગી રહ્યું છે કે આ દિગ્ગજ ક્રિકેટર માટે હવે આઇપીએલમાં રમવાનું પણ મુશ્કેલ દેખાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ હવે આઇપીએલમાં પણ માહીનો સમય પૂરો થઈ ગયો છે.
એમ. એસ. ધોનીને દુનિયાનો સૌથી બુદ્ધિશાળી કેપ્ટન એટલા માટે માનવામાં આવે છે, કારણ કે તેનું દિમાગ બીજા કેપ્ટનોની સરખામણીએ વધુ ઝડપી ચાલે છે. ધોનીએ પોતાની કરિયરમાં દિમાગના યોગ્ય ઉપયોગથી જ ઘણી મેચ જીતી છે. ધોની માટે કહેવામાં આવે છે કે તેનું દિમાગ કમ્પ્યૂટર કરતાં પણ ઝડપી ચાલે છે, પરંતુ હવે તેના આ 'કમ્પ્યૂટર'માં વાઇરસ ઘૂસી ગયો હોય એવું લાગે છે, જેની ઝલક વર્તમાન આઇપીએલમાં જોવા મળી રહી છે.
ધોની દુનિયાના શાનદાર ફિનિશરોમાંનો એક છે, પરંતુ છેલ્લી બે મેચમાં ધોની પરિસ્થિતિ અનુસાર ઝડપી બેટિંગ કરી નથી શકતો. ધોની હંમેશની જેમ આજે પણ ક્રીઝ પર આવ્યા બાદ થોડો સમય લાગે છે અને બાદમાં હિટિંગ કરે છે, પરંતુ આ વખતે આક્રમણ કરવાનો નિર્ણય લેવામાં થોડું મોડું થઈ રહ્યું છે, જેનું નુકસાન સીએસકે ટીમને થઈ રહ્યું છે. હૈદરાબાદ સામે ધોનીએ ૧૯મી ઓવરમાં હિટિંગ શરૂ કર્યું. ભુવનેશ્વરની એ ઓવર પહેલાં ધોનીએ ૨૭ બોલમાં ૨૪ રન બનાવ્યા હતા, પરંતુ ૧૯ ઓવર બાદ તે ૩૨ બોલમાં ૩૯ રન પર પહોંચી ગયો. આખરે ધોનીએ ૩૬ બોલમાં ૪૭ રન બનાવ્યા અને ટીમ માત્ર સાત રને હારી ગઈ. જો ધોની ૧૭મી ઓવરથી હિટિંગ કરવાનું શરૂ કરી દેત તો આ મેચનું પરિણામ કંઈક અલગ જ હોત. આના પરથી સ્પષ્ટ થાય છે કે ધોનીએ હિંટિંગ કરવામાં થોડું મોડું કર્યું.
માહીના દિમાગ બાદ તેનો સૌથી મજબૂત પક્ષ છે ફિટનેસ. ધોની બહુ જ તાકાતવાળો બેટ્સમેન છે. તેની રનિંગ પણ ગજબની છે, પરંતુ હૈદરાબાદ સામે બે-બે રન લીધા બાદ હાંફતો નજરે પડી રહ્યો. ધોનીએ ફિઝિયોને પણ મેદાનમાં બોલાવવો પડ્યો ને દવા પણ ખાધી. યુએઈમાં ગરમી છે અને ખેલાડીઓને મુશ્કેલી પડી રહી છે, પરંતુ ધોનીએ ભૂતકાળમાં આનાથી પણ ખરાબ પરિસ્થિતિમાં બેટિંગ કરી છે.
ધોની હવે ૩૯ વર્ષનો થઈ ગયો છે. સ્પષ્ટ છે કે ઉંમર હવે માહીની રમત પર સવાર થવા લાગી છે. કદાચ એ જ કારણ છે કે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ગઈ કાલની મેચ જોયા બાદ એવું લાગી રહ્યું છે કે કદાચ હવે આઇપીએલને પણ બાય-બાય કહેવાનો સમય આવી ગયો છે.
યોગ્ય કોમ્બિનેશન નથી બનાવી શકતોઃ ધોનીની આઇપીએલ ટીમ હંમેશથી સંતુલિત રહી છે, પરંતુ આ સિઝનમાં માહી ટીમનું બેલેન્સ નથી બનાવી શક્યો. ટીમનાે ઓપનર વોટસન હોય કે મિડલ ઓર્ડરમાં કેદાર જાધવ, તેઓના સતત ખરાબ પ્રદર્શન છતાં ધોની બંનેને તકો આપતો જોવા મળી રહ્યો છે. આનું નુકસાન સીએસકેને જ થઈ રહ્યું છે. મતલબ ધોનીની પસંદગીમાં પણ ખામીઓ જણાઈ રહી છે. આ નબળાઈઓ કોઈ પણ કેપ્ટન અને તેની ટીમ માટે ખતરનાક હોય છે. જોવાનું એ છે કે ધોની આ બધી પરિસ્થિતિઓમાંથી બહાર આવી શકે છે કે કેમ?