મહેન્દ્રસિંહ ધોનીએ આ દાયકામાં ભારતીય ક્રિકેટ ટીમને એક એકથી ચડિયાતી સફળતાઓ અપાવી. આઇસીસીએ જ્યારે ક્રિકેટ ચાહકોને આ દાયકાનો બેસ્ટ કેપ્ટન પસંદ કરવા કહ્યું હતું ત્યારે મોટા ભાગના ચાહકોએ ધોનીના નામ પર મહોર મારી હતી. ધોનીએ આ દાયકા દરમિયાન જ ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ છોડી દીધી અને વિરાટ કોહલીને આ જવાબદારી સોંપવામાં આવી. ધોનીએ બેશક કેપ્ટનશિપ છોડી દીધી છે, પરંતુ તે ટીમની બહાર રહીને પણ ટીમ ઇન્ડિયાનો હિસ્સો બની રહ્યો છે.
દાયકામાં સૌથી વધુ શિકાર કરનારો વિકેટકીપર બન્યો મહેન્દ્રસિંહ ધોની
ભારત તરફથી રમતા ધોનીએ આ દાયકામાં એટલે કે ૨૦૧૦થી લઈને ૨૦૧૯ સુધી વિકેટની પાછળ ગજબનાક ચતુરાઈ દેખાડી છે અને વન ડે ક્રિકેટમાં સૌથી વધુ શિકાર કરવામાં સફળ રહ્યો છે. વર્ષ ૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન વન ડે ક્રિકેટમાં વિકેટની પાછળ સૌથી વધુ શિકાર કરવાના મામલામાં ધોની અવ્વલ રહ્યો. આ દસ વર્ષ દરમિયાન ધોનીએ કમાલનું વિકેટકીપિંગ કરીને કુલ ૨૪૨ શિકાર કર્યા, જેમાં કેચ અને સ્ટમ્પિંગ સામેલ છે. આ દાયકા દરમિયાન ધોની ૧૯૬ વન ડે મેચમાં રમ્યો. ૨૦૧૯માં ધોની પોતાની અંતિમ વન ડે મેચ વર્લ્ડકપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. ત્યાર બાદથી તે મેદાનમાં ઊતર્યો નથી.
વર્તમાન દાયકામાં વન ડે ક્રિકેટમાં સૌથી વધુ મેચ જીતનારો કેપ્ટન પણ મહેન્દ્રસિંહ ધોની જ છે. તેણે છેલ્લાં દસ વર્ષમાં કુલ ૭૧ વન ડે મેચમાં ટીમ ઇન્ડિયાને વિજયી બનાવી છે. આ આંકડો દુનિયાભરના અન્ય કેપ્ટન કરતાં સર્વશ્રેષ્ઠ છે.
છેલ્લા પાંચ દાયકામાં વન ડે ક્રિકેટ સૌથી વધુ શિકાર કરનારા વિકેટકીપર પર એક નજર કરીએ