આગામી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહેલી વાર સફેદ જર્સી પર નંબર લખાશે અને 22 ઓગસ્ટથી એન્ટિગામાં વિન્ડીઝ સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમ બે નંબરનો ઉપયોગ કદાચ જ કરશે.
સચિન તેંડુલકરની '10' નંબરની જર્સીને BCCI 'બિનસત્તાવાર રીતે નિવૃત્ત' કરી ચૂકી છે. જ્યારે ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે એક મેચમાં '10' નંબરની જર્સી પહેરી હતી ત્યારે તેની સોશ્યલ મીડિયા પર આકરી ટીકા થઈ હતી.
એવું માનવામાં આવી રહ્યું છે કે મોટા ભાગના ભારતીય ખેલાડી પોતાની નિર્ધારિત ઓવરોની જર્સીના નંબરનો જ ઉપયોગ કરશે. BCCIના એક અધિકારીએ કહ્યું, ''વિરાટ '18' અને રોહિત '45' નંબરની જર્સી પહેરશે. મોટા ભાગના ખેલાડી પોતાની વન ડે T-20 જર્સીના નંબર જ પહેરશે. મહેન્દ્રસિંહ ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે તેથી જર્સી નંબર-7 ઉપલબ્ધ રહેશે, પરંતુ એવી બહુ જ ઓછી શક્યતા છે કે કોઈ ખેલાડી એ નંબરની જર્સી પહેરે. વન ડે સીરિઝ બાદ જ વિન્ડીઝમાં નંબરવાળી જર્સી પહોંચશે.''
સામાન્ય રીતે જર્સીને નિવૃત્ત નથી કરાતી, પરંતુ ભારતીય ક્રિકેટમાં ધોનીનું કદ એટલું મોટું છે કે BCCI તેની જર્સી રિટાયર કરી શકે છે. ધોનીએ 2015માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ. તા. 1 ઓગસ્ટથી એશીઝની શરૂઆત થઈ રહી છે, જ્યાં ખેલાડી પહેલી વાર ટેસ્ટ ક્રિકેટમાં નામ-નંબર સાથેની જર્સી પહેરશે. આ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત પ્રથમ દ્વિપક્ષી સીરિઝ છે. ICCએ ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભર્યું છે.
‘શાસ્ત્રી-કોહલી એકબીજાના પૂરક, કોચ બદલવા જોખમી’
BCCIનું કામકાજ સંભાળવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વહીવટદારો સમિતિએ ભારતીય ટીમના મુખ્ય કોચ અને સપોર્ટિંગ સ્ટાફ માટે આવેદન મંગાવ્યાં છે, જ્યારે BCCIના અધિકારીઓનું માનવું છે કે, એ જરૂરી છે કે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી મુખ્ય કોચપદે જળવાઈ રહે, જેથી કેપ્ટન વિરાટ કોહલીને આગળ વધવામાં મદદ મળે.
BCCIના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે ટીમના આ ફેરફારના તબક્કામાં શાસ્ત્રી અને કોહલીએ પોતાના પદ પર જળવાઈ રહેવું બહુ જ જરૂરી હતું, કારણ કે ટીમ 2020ના T-20 વિશ્વકપને નજરમાં રાખીને યુવા ખેલાડીઓને તક આપવા ઇચ્છે છે. ફેરફારના આ તબક્કામાં લાંબા સમય સુધી કંઈ પણ કાયમી ન હોવું જોઈએ. રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલી એકબીજાના પૂરક છે અને આ સફળ ટીમ ના અડધા હિસ્સાને બદલવો યોગ્ય નહીં હોય.
અધિકારીએ જણાવ્યું હતું કે ટીમમાં સાતત્યતા જાળવી રાખવી મહત્ત્વપૂર્ણ બાબત હતી, કારણ કે કોચના ફેરફારનો અર્થ એવો હોઈ શકે કે નવા કોચ ખેલાડીઓને શરૂઆતથી પોતાની રીતે ઢાળશે. કોચનો ફેરફાર એ સમીકરણને બગાડનારો સાબિત થઈ શકે છે, જે વર્તમાન ખેલાડીઓને બહાર કાઢવા માટે માનસિક સ્થાનની મંજૂરી આપે છે. જો હાલના સમયમાં ફેરફાર કરવામાં આવે તો આગામી પાંચ વર્ષ માટે રણનીતિ અને યોજનાનો ફેરફાર હશે.