એડવોકેટ અને કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્થા સાથે મહેન્દ્ર પટેલે સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી.
ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુની આત્મહત્યા
સમાજના અગ્રણીઓએ પરિવારને પાઠવી સાંત્વના
'પરિવારને મળવો જોઇએ ન્યાય'
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આપઘાત કરતા પહેલા તેણે મીડિયાને પ્રેસનોટ મોકલી હતી. જેમાં આપઘાત પાછળ ઓઝોન ગૃપને જવાબદાર ગણાવ્યું હતું. નોટમાં લખ્યું છે કે, મારી 33 કરોડની મિલકતના દસ્તાવેજો કરી આપતા નથી. IAS અને IPS અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે તેવું કહીને ધમકી આપી રહ્યા છે. આખરે કંટાળી આર્થિક સંકળામણમાં આવી ગયા હોવાથી મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતા એરેરાટી વ્યાપી છે. પાટીદાર સમાજમાં સમગ્ર મામલે રોષની લાગણી સવાઇ છે.
પરિવારને યોગ્ય ન્યાય મળવો જોઇએઃ જેરામ પટેલ
મહેન્દ્ર ફળદૂની અંતિમ યાત્રામાં સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મોભી ચાલ્યો જતાં પરિવાર હાલ શોકમાં ગરકાવ થઈ ગયો છે. અંતિમ યાત્રા નીકળતાની સાથે જ પરિવાર અને હાજર લોકો પોંક મૂકી રડી પડયા હતા. આ વિકટ સમયે પાટીદાર અને રાજકીય અગ્રણીઓએ પરિવારને સાંત્વના પાઠવી હતી અને પાટીદાર અગ્રણી જેરામ પટેલે કહ્યું હતું કે પરિવારને યોગ્ય ન્યાય મળવો જોઇએ. તો ઉમિયાધામ સીદસરના ઉપપ્રમુખ જગદીશ કોટડીયાએ રાજકોટ જેવા શહેરમાં આવી ઘટના ખુબ જ ગંભીર કહેવાય તેવુ નિવેદન આપ્યું હતું.
ઓરિજીનલ પ્રેસનોટ શોધવા યુનિવર્સિટી પોલીસ ઘરે પહોંચી
રાજકોટના ઉદ્યોગપતિ આપઘાત કેસની તપાસ કરવા માટે યુનિવર્સિટી પોલીસ મૃતક મહેન્દ્ર ફળદુના ઘરે પહોંચી છે. મહત્વનું છે કે આત્મહત્યા કરતા પહેલા મહેન્દ્ર ફળદુ પ્રેસનોટ મીડિયાને આપી હતી. જેની તપાસ કરવા તેમજ ઓરિજીનલ પ્રેસનોટ શોધવા પોલીસે કવાયત તેજ કરી છે. જ્યાં હવે પરિવારજનોના નિવેદન નોંધી પોલીસ ફરિયાદ નોંધાશે.
કોણ હતા ઉદ્યોગપતિ મહેન્દ્ર પટેલ?
મહેન્દ્ર પટેલ આર્થિક સંકળામણમાં આવી ગયા હોવાથી આ પગલું ભર્યું હતું.IAS અને IPS અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે તેવું કહીને ધમકી અપાતી હતી.મહેન્દ્ર ફળદુ ક્લબ યુવી ગ્રુપના ચેરમેન હતા.એડવોકેટ અને કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્થા સાથે મહેન્દ્ર પટેલ જોડાયેલા હતા.
ઓફિસના દરેક વ્યક્તિને મોડા આવવાનું કહ્યું
રાજકોટમાં જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુ આપઘાત મામલે FSLની ટીમ પહોંચી મહેન્દ્ર ફળદુની ઓફિસમાં પણ પહોંચી છે. FSLની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મહેન્દ્ર ફળદુ પોતાની ઓફિસમાં વહેલા પહોંચ્યા હતા અને ઓફિસના દરેક વ્યકતિને મોડા આવવા કહ્યુ હતું. સોમવારના રોજ ઓફિસમાં સાફસફાઈ કરાવી હતી. સોમવારના રોજ થોડાક પેપર વર્ક પણ કર્યુ હતું. કાલે તેમણે કરોડો રૂપિયાના વ્યવહાર પણ કર્યા હતાં
5 લાખ વારનો છે બાવળાનો ધ તસ્કની બીચ સિટીનો પ્રોજેક્ટ
રાજકોટ શહેરનાં આગેવાન, સીનીયર એડવોકેટ, બિલ્ડર અને પાટીદાર આગેવાન એવા મહેન્દ્રએ રાજકોટ શહેરનાં બિલ્ડર એમ. એમ. પટેલ (સુરેજા), અમિત ચૌહાણ, અતુલ મહેતા તથા અમદાવાદનાં ઓઝોન ગ્રૂપના જયેશ કાન્તિલાલ પટેલ, દીપક પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પ્રણય કાન્તિલાલ પટેલ સાથે મળીને અમદાવાદ જીલ્લાનાં બાવળા તાલુકાનાં ગામ બલદાણામાં આશરે પાંચેક લાખ વાર જગ્યામાં ધ તસ્કની બીચ સિટી” ના નામનો પ્રોજેકટ બનાવી રહયા હતા.
બાવળાના પ્રોજેક્ટમાં આશરે 3 કરોડથી પણ વધારેનું ચૂકવણું કર્યું પણ દસ્તાવેજ ન કરી આપ્યા
તે પ્રોજેકટમાં મહેન્દ્ર કેશવલાલ ફડદુ, બે પોતાનાં નામે, તેમનાં સગા-વ્હાલાનાં નામે આશરે ચો.વા.48000 જમીન વર્ષ–2007 માં બુક કરાવેલ, તે જ રીતે તેના નાના ભાઈ રમેશ કેશવલાલ ફડદુ, શૈલેષ કેશવલાલ ફડદુ, તેનાં સગા કાકા વિનયકાંત ટી. ફડદુ સહિતનાં અન્ય લોકોને આશરે એક લાખ વાર જગ્યા મહેન્દ્રભાઈ ફડદુ મારફતે બુક કરાવેલુ હતુ અને તેનું પેમેન્ટ પણ વર્ષ–2007માં જ કરી નાખ્યું હતું, આ રકમ આશરે 3 કરોડથી પણ વધારે થાય છે તે ૨કમ વર્ષ-2007માં જ કંપનીમાં જમા કરાવી દીધું હતું. જેમાં રોકડ રકમનો વહીવટ અલગ છે તેવો પણ પ્રેસ રિલીઝ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પણ રકમનું ચુકવણું કરી દીધા બાદ પણ દસ્તાવેજ ન કરી દાદાગીરી અને સાથે માનસિક હેરાનગતિ કરવામાં આવી હોવાનો ઓઝોન ગ્રુપ સહિત 7 શખ્સો સામે આરોપ મૂકવામાં આવ્યો છે.