રાષ્ટ્રપિતા ગાંધીજીની 150મી જન્મજયંતીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે તેમની મહામૂલી આત્મકથા કે જેને સત્યના પ્રયોગો એવુ નામ મળ્યુ છે તેના વિશે એક નવતર તારણ સામે આવ્યું છે. જે ભાષાની અને દેશની ગાંધીજી હિમાયત કરતા રહ્યા તે ભાષા અને દેશ કરતા તેમની આત્મકથા અંગ્રેજીમાં સૌથી વધુ વેચાઈ છે અને પ્રાદેશિક ભાષાની વાત કરીએ તો મલયાલમ અને તમિલમાં વધુ વેચાઈ છે જ્યારે ગુજરાતીઓ અને હિન્દી ભાષીઓએ ગાંધીજીની આત્મકથામાં ઓછો રસ લીધો છે.
ગાધીજીની 'સત્યના પ્રયોગો' એ એક અનોખી આત્મકથા છે. ગાંધીજીએ પોતાના બાળપણથી લઈને 1921 સુધીના પ્રસંગો તેમાં આવરી લીધા છે. ગુજરાતી તરીકે 'સત્યના પ્રયોગો' તો એક વાર વાંચવી જ જોઈએ અને ગાંધીજી પોતે પ્રાદેશિક વસ્તુઓના આગ્રહી હતા અને વિદેશી વસ્તુઓનો બહિસ્કાર કરતા આંદોલનો કરતા હતા પણ તેમની જ આત્મ કથા 'સત્યના પ્રયોગો' અંગ્રેજી ભાષામાં સૌથી વધુ વેચાઈ છે જ્યારે ગુજરાતી ભાષામાં માત્ર 6.71 લાખ નકલ જ વેચાઈ છે.
કઈ ભાષામાં કેટલી વેચાઈ સત્યના પ્રયોગો?
અત્યારસુધી 'સત્યના પ્રયોગો'ની કુલ 57.74 લાખ નકલ વેચાઇ ચૂકી છે. 500 પાનાની આ આત્મકથાની કિંમત રૂા.200 છે.
અંગ્રેજી 20.98 લાખ
મલયાલમ 8.24 લાખ
તમિલ 7.35
ગુજરાતી 6.71 લાખ
હિંદી 6.63 લાખ
કઈ કઈ પ્રાદેશિક ભાષામાં થયો છે અનુવાદ
આ આત્મકથાને ગુજરાતીમાં 1927માં જ્યારે મલયાલમમાં 1997માં પ્રસિદ્ધ કરાઇ હતી. આત્મકથાનું આસામિઝ, ઓડિશા, મણિપુરી, પંજાબી, કન્નડમાં પણ અનુવાદ થયું છે.
ડોગરી અને બોડોમાં પણ મળશે 'સત્યના પ્રયોગો'
જમ્મુ કાશ્મીરની ડોગરી અને આસામની બોડો ભાષામાં પણ 'સત્યના પ્રયોગો'નો અનુવાદ કરાશે જોકે અગાઉ 1968માં પણ ડોગરી ભાષામાં તેને અનુવાદ કરાઇ હતી અને તેની 1 હજાર નકલ પ્રસિદ્ધ કરાઇ હતી. હવે આગામી જાન્યુઆરીમાં ડોગરી ભાષામાં 500 નકલ સાથે તેને રજૂ કરાશે. આ ઉપરાંત ઓડિયો સીડી, પેન ડ્રાઇવથી ઓડિયો વર્ઝનમાં પણ 'સત્યના પ્રયોગો' લોન્ચ કરવાની વિચારણા ચાલી રહી છે. 'સત્યના પ્રયોગો'માં મહાત્મા ગાંધીએ પોતાના બાળપણથી 1921 સુધીના પ્રસંગો આવર્યા છે.