દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશ 'આઝાદી કા અમૃત મહોત્સવ' મનાવી રહ્યો છે ત્યારે VTV ન્યૂઝ આઝાદીની આ લાંબી લડાઇમાં સમાવેશ પામેલા મહત્વના સ્થળો અને સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી રહ્યું છે.
આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી
દેશની આઝાદીની વાત આવે એટલે સૌ પહેલાં નામ આવે મહાત્મા ગાંધીજીનું
ગાંધી આશ્રમ કે જ્યાંથી મોહનથી મહાત્મા બનવા સુધીની સફરની થઇ હતી શરૂઆત
દેશમાં આઝાદીની વાત થતી હોય અને મહાત્મા ગાંધીજીનું નામ ન આવે તેવું તો કેવી રીતે બની શકે અને એવામાં પણ દે દી હમે આઝાદી બિના ખડક, બિના ઢાલ. સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ સાંભળતા જ સાબરમતી યાદ આવે ત્યારે આજે વાત કરીશું અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમની કે જ્યાંથી ગાંધીજીના મોહનથી મહાત્મા બનવા સુધીની સફરની શરૂઆત થઇ હતી. એવું પણ કહી શકાય કે મહાત્મા ગાંધીએ સ્વરાજ મેળવીને જ જંપીશનો વિચાર સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમથી કરી હતી.
ગુજરાતના અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલ અને અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ ગાંધી આશ્રમની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી હતી. ગાંધીજીએ કોચરબ આશ્રમમાં લોકોની સંખ્યા વધી જતા સાબરમતી નદીના કિનારે ગાંધી આશ્રમની સ્થાપના કરી હતી. ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું. ગાંધીજી સાંજના સમયે સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતાં હતાં. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી તો અહીંથી જ ગાંધીજીએ સ્વરાજ મેળવવાની પણ પ્રતિજ્ઞા લિધી હતી એટલે ગાંધીજીની સ્વરાજ મેળવવાની લડાઇમાં ગાંધી આશ્રમનું મહત્વ અનેરુ રહ્યું છે.
આશ્રમની છબીઓ
- આશ્રમમાં મહાત્મા ગાંધીનું પૂતળું
- ગાંધી સંગ્રહાલય
- ગાંધીજીની કુટિર ‘હૃદયકુંજ’ જેમાં ગાંધીજીના અંગત અવશેષો દર્શાવાયા છે
- મહાત્મા ગાંધીના ઘરનું આગળનું દૃશ્ય
- સાબરમતી નદીના કાંઠે વિનોબા કુટીર
- ગાંધીજીનો ચરખો અને ટેબલ
- વિવિધ ભાષાઓમાં મહાત્મા ગાંધીજીની સહી
- ગાંધીની કુટીર હૃદય કુંજ સામે પથ્થરનાં લખાણો
- મહાત્મા ગાંધી અને કસ્તુરબા ગાંધી દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ
- વિવિધ ભાષાઓમાં મહાત્મા ગાંધીજીની સહી
સાબરમતી આશ્રમ કે જેને ગાંધી આશ્રમ તરીકે પણ ઓળખાય છે
સાબરમતી આશ્રમ કે જેને ગાંધી આશ્રમ તરીકે પણ ઓળખાય છે. અમદાવાદના આશ્રમ રોડને અડીને, સાબરમતી નદીના કિનારે ગાંધી આશ્રમ આવેલો છે. આ મહાત્મા ગાંધીના ઘણા આવાસોમાંના એક હતા જેઓ સાબરમતી અને સેવાગ્રામ ખાતે રહેતા હતા જ્યારે તેઓ સમગ્ર ભારતમાં યા જેલમાં ન હતા.તેઓ તેમના પત્ની કસ્તુરબા ગાંધી અને વિનોબા ભાવે સહિતના અનુયાયીઓ સાથે કુલ બાર વર્ષ સુધી સાબરમતી કે વર્ધામાં રહ્યા.અહીંથી જ ગાંધીએ 12 માર્ચ 1930 ના રોજ મીઠાના સત્યાગ્રહ તરીકે ઓળખાતી દાંડી કૂચનું નેતૃત્વ કર્યું હતું. ભારતીય સ્વતંત્રતા ચળવળ પર આ કૂચનો નોંધપાત્ર પ્રભાવ હતો તેની માન્યતામાં, ભારત સરકારે આશ્રમને રાષ્ટ્રીય સ્મારક તરીકે સ્થાપિત કર્યો છે.
સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમના કોમ્યુનિકેટર ગાઇડ તરીકે કામ કરતા લત્તાબેન જણાવે છે કે 17 જૂન 1917ના કોચરબ આશ્રમથી સ્થળાંતરણ કરી ગાંધી આશ્રમ ખાતે આવ્યા ત્યારે ગાંધીજી બિહારમાં મોતીહારી ચંપારણ સત્યાગ્રહમાં હતા.બિહારમાંથી પરત ફર્યા બાદ લોકો ગાંધીજી સાથે મોટી સંખ્યામાં જોડાયા અને ત્યારબાદ આ આશ્રમનો વિસ્તાર થયો. ઇ.સ 1917 બાદ અહીં અનેક શૈક્ષણિક - રાજકીય પ્રયોગો થયા ગૌશાળાઓ પણ ચાલી.
ગાંધી આશ્રમના ગાઇડ લત્તાબેન જણાવી રહ્યાં છે 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીની ઉંમર 61 વર્ષની હતી તે સમયે ગાંધી આશ્રમથી જ ગાંધીજીએ દાંડી કૂચ શરૂ કરી હતી. તે દાંડી કૂચે દેશમાં અલગ જુવાળ પેદા કર્યો અને એ સમયે જ ગાંધીજીએ મોટી પ્રતિજ્ઞા લેતા નક્કી કર્યુ કે કાગળા-કુતરા મોતે અને રઝળીને મરીશ પરંતુ સ્વરાજ લિધા વિના પરત નહીં ફરુ તે વાત ગાંધીજીની આશ્રમ પ્રત્યેની માયા દર્શાવે છે પરંતુ આઝાદી મળ્યા બાદ જે પ્રકારે દેશની પરીસ્થિતીઓ બદલાતી રહી તેના કારણે ગાંધીજી ક્યારેય પણ અહીં પરત ફરી જ ન શક્યા.
હિંદ છોડો ચળવળ સમયની વાત કરતા ગાંધી આશ્રમના કોમ્યુનિકેટર લતાબેન જણાવે છે કે 1942માં જ્યારે હિંદ છોડો ચળવળની શરૂઆત થઇ તો એ સમયે ગાંધી આશ્રમમાં પણ લોકોના ઘરોની પણ જપ્તી થઇ. અહીં ગાંધી આશ્રમ આખુ વેરણ છેરણ કરી દિધુ હતુ. વિદ્યાર્થીઓ ચળવળમાં જોડાતા ગુજરાત વિદ્યાપીઠ પણ બંધ થઇ હતી અને એ આખી મુહિમે અનોખો જુવાળ પેદા કર્યો. ગાંધીજી 1930માં જે આશય સાથે ગાંધી આશ્રમથી નીકળ્યા હતા તેની અસર ઇ.સ 1942માં જોવા મળી અને અંતે 1947માં દેશને આઝાદી મળી.
રોજના અંદાજિત 7 લાખ જેટલા લોકો ગાંધી આશ્રમની મુલાકાત લે છે
ગાંધી આશ્રમમાં અનેક દશકાઓ વિતાવ્યા બાદ લત્તાબેન જણાવે છે કે આજે જબરજસ્ત અને એક અલગ પ્રકારનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. લોકોનું કોન્સિયન્સ વધી રહ્યું છે. આઝાદીની લડાઇમાં આશ્રમનો મોટો ફાળો રહ્યો છે. ગાંધીજી એક એવા વ્યક્તિ હતા કે જેણે લોકોને સાચી દિશામાં લઇ જવા તરફ પ્રયાસ કર્યો હતો.
ગાંધી આશ્રમમાં રોજના 3 હજારથી વધુ અને વર્ષે અંદાજિત 7 લાખ જેટલા લોકો ગાંધી આશ્રમની મુલાકાત લે છે જેમાં વિદેશના અનેક દેશોના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીઓ સહિતના લોકો આવી રહ્યાં છે જેમાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીં શાંતિ પ્રાપ્ત કરવા અને ગાંધીજીના સાત્વત વિચારોથી માહિતગાર થવા આવે છે.