Kiran Patel News: ઈવેન્ટ કંપની સાથે 3.51 લાખની છેતરપિંડી મામલે મહાઠગ કિરણ પટેલના આજે રિમાન્ડ પૂર્ણ થતાં મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે. અન્ય ફરિયાદ મામલે કિરણ પટેલની ધરપકડ થઈ શકે છે.
મહાઠગ કિરણ પટેલને કોર્ટમાં કરાશે રજૂ
રિમાન્ડ પૂર્ણ થતા મહાઠગને કોર્ટમાં રજૂ કરાશે
3.51 લાખની છેતરપિંડી મામલે થઈ હતી ધરપકડ
મહાઠગ કિરણ પટેલને લઈ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. 3.51 લાખની છેતરપિંડી મામલે કિરણ પટેલના આજે રિમાન્ડ પૂરા થઈ રહ્યા છે. ત્યારે આજે મહાઠગને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એવું કહેવામાં આવે છે કિરણ પટેલની આજે અન્ય એક ફરિયાદ મામલે ધરપકડ થઈ શકે છે. મહત્વનું છે કે, ગતરોજ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. જમીન વેચાણ બાદ છેતરપિંડી મામલે મહાઠગની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જમીન વેચાણ કરી દસ્તાવેજ ન બનાવી આપ્યો
ફરિયાદીના જણાવ્યા અનુસાર, કિરણ પટેલે નારોલમાં જમીન વેચાણ કરીને 80 લાખ રૂપિયા પડાવ્યા હતા. કિરણે જમીન વેચાણ કર્યા બાદ દસ્તાવેજ બનાવી આપ્યો નહતો. વર્ષ 2017માં જમીન વેચાણ કર્યા બાદ દસ્તાવેજ ન કર્યો. ત્યારે ફરિયાદીને કિરણ પટેલે શરૂઆતમાં તમાકુનાં વેપારી તરીકે ઓળખ આપી હતી. પાછળથી ફરિયાદીને PMOના અધિકારી તરીકેની ઓળખ આપી હતી.
ઇવેન્ટ કંપની સાથે કરી હતી ઠગાઈ
થોડા સમય પહેલા મહાઠગ કિરણ પટેલ વિરૂદ્ધ એક ફરિયાદમાં ક્રાઈમ બ્રાન્ચે કસ્ટડી મેળવી હતી. જેમાં G-20 સમિટનાં બેનર હેઠળ હોટલ હયાતમાં ઈવેન્ટ યોજી હતી. જેમાં ઈવેન્ટનું ભાડું, ફ્લાઈટની ટિકિટ મળી કુલ રૂા. 3.51 લાખની છેંતરપિંડી આચરી હતી. જે છેંતરપિડીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની કસ્ટડી મેળવી હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલનાં 7 દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે કોર્ટે 18 એપ્રિલ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.
કિરણ પટેલની અલગ-અલગ અધિકારી દ્વારા પૂછપરછ
ભલભલાને બાટલીમાં ઉતારી ચૂકેલો કિરણ પટેલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની સામે પોપટની જેમ જવાબ આપી રહ્યો છે. તેને ખબર પડી ગઈ છે કે, જો અહીંયા જવાબ નહીં આપું તો મારી તમામ હોશિયારી નીકળી જશે. મહાઠગની પૂછપરછમાં સામે આવ્યું છે કે ઠગે મોટા બિઝનેસમેનને કશ્મીરમાં રોકાણની લાલચ આપી હતી. આ ઉપરાંત તેણે ગર્લફ્રેન્ડ સાથે ઘણી જગ્યાની મુલાકાત લીધી હોવાનું પણ સ્વીકાર્યું છે.
ઠગની પત્ની માલિની પટેલની પણ થઈ ચૂકી છે ધરપકડ
આપને જણાવી દઈએ કે, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે શ્રીનગરથી મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી મેળવી હતી. મહાઠગ કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ 7 એપ્રિલે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે અગાઉ માલિનીની ધરપકડ કરી હતી. બોગસ ડોક્યુમેન્ટના આધારે બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો જે મામલે ક્રાઈમ બ્રાન્ચમાં થયેલી ફરિયાદને લઈ માલિનીની પણ ધરપકડ કરાઈ હતી.