આજે મહાશિવરાત્રી છે. ત્યારે દરેક શિવ મંદિરો બમ બમ ભોલેના નાદ સાથે ગુંજી ઉઠ્યા. દેવાધી દેવ મહાદેવને રાજી કરવા માટે ભક્તિઓએ શિવલિંગ પર જળાભિષેક અને દૂધનો અભિષેક કર્યો. શિવરાત્રીના પાવન પર્વે દરેક શિવ મંદિરોમાં વાતાવરણ શિવમય જોવા મળ્યું. ત્યારે આવો નિહાળીએ એક અનોખું ચમત્કારિક શિવ મંદિર. જે દુશ્મન દેશની ધરતી પર આવેલું છે. પાકિસ્તાનમાં આવેલું આ મંદિર અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ આ વખતની શિવરાત્રીએ ભારતમાંથી કોઈ શ્રદ્ધાળુ આ મંદિરે ન પહોંચ્યા.
પાકિસ્તાનના લાહોરથી 280 કિલોમીટર દૂર કુદરતના રમણીય સૌંદર્યની વચ્ચે પહોડો પર આવેલું છે ભગવાન શિવના ચમત્કારિક કટાસરાજ મંદિર. કટાસરાજ મંદિરમાં પ્રતિદિન અનેક ભક્તો દર્શન માટે પહોંચે છે અને શિવરાત્રીએ તો જાણે મેળા જેવો માહોલ હોય છે. પાકિસ્તાની હિન્દુ સિવાય ભારતમાંથી પણ શ્રદ્ધાળુઓ શિવરાત્રીએ દર્શન માટે મોટી સંખ્યામાં પહોંચે છે, પરંતુ આ મહાશિવરાત્રીએ ભારતમાંથી કોઈ શ્રદ્ધાળુ ન પહોંચ્યા. આવુ એટલા માટે કે, પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પેદા થયેલા તણાવને કારણે શ્રદ્ધાળુઓએ પાકિસ્તાનના વિઝા ન લીધા. આ પહેલા વર્ષ 1999ના કારગીલ યુદ્ધ અને 2008માં થયેલા મુંબઈ હુમલા દરમિયાન પણ યાત્રિકો આ મંદિરે પહોંચ્યા ન હતા.
એક હજારથી પણ વધારે પૌરાણિક આ શિવ મંદિરને મહા શિવરાત્રીના પાવન પર્વે સ્વચ્છ કરવામાં આવ્યું. 150 ફુટ લાંબા અને 90 ફુટ પહોળા પવિત્ર સરોવરનું પાણી કાચ જેવું સ્વચ્છ જોવા મળે છે. આ કુંડનું પણ એક વિશેષ મહત્વ છે. સુંદર રમણીય પર્વતોની ગીરીમાળા વચ્ચે આવેલા આ મંદિરની સુંદરતા મનમોહી લે તેવી છે. અહીં એકવાર આવીએ તો અવાર નવાર આવવાનું મન થાય તેવી સુંદરતા આ મંદિરની છે. તો અહીંનું વાતાવરણ મનને શાંતિ આપનારું અને ભક્તિમય બનાવી દે તેવું હોય છે.
થોડાક સમય પહેલા આ મંદિરની પાસે લાગેલી સિમેન્ટ ફેક્ટરીઓ બોરવેલમાંથી પાણી કાઢી રહી હતી. જેના કારણે જમીની પાણીનું સ્તર ઘટ્યું અને સુંદર પવિત્ર સરોવર સુકાઈ જવાની તૈયારીમાં હતું. ત્યારબાદ સિંધમાં રહેતા હિન્દુઓએ એક અરજી પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી. હિન્દુઓની અરજી પર પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે સરોવરને ઠીક કરવાનો આદેશ કર્યો અને સિમેન્ટ ફેક્ટરીઓને રૂપિયા 10 કરોડનો દંડ ફટકાર્યો હતો.
હિન્દુઓના આ પવિત્ર મંદિરના દર્શન માટે દર શિવરાત્રીએ અનેક હિન્દુઓ ભારતમાંથી પાકિસ્તાન પહોંચે છે. પુલવામા આતંકી હુમલા પહેલા ભારતમાંથી 141 શ્રદ્ધાળુઓએ વીઝા માટે એપ્લાય કર્યું હતું, પરંતુ પુલવામા હુમલા બાદ પેદા થયેલા તણાવને કારણે હિન્દુઓએ ત્યાં નહીં જવાનો નિર્ણય કર્યો. આ વખતે સિંધના કેટલાક હિન્દુ પરિવારોએ જ મહાશિવરાત્રીએ આ કટાસરાજ મંદિરમાં જળાભિષેક કર્યો હતો. તો ઈન્ડો-પાક પ્રોટોકોલ 1972 અંતર્ગત દર વર્ષે 200 ભારતીય કટાસરાજ જઈ શકે છે.
એવુ માનવામાં આવે છે કે માતા સતીના મૃત્યુ બાદ શિવજીની આંખમાં આસું આવી ગયા હતા અને આ આંસુના કારણે એક નદીનું નિર્માણ થયું હતું, આંસુઓથી બે સરોવરનું નિર્માણ થયું હતું. જેમાં એક કટાસરાજ જે પાકિસ્તાનમાં આવેલું છે જ્યારે બીજુ પુષ્કર જે ભારતના રાજસ્થાનમાં આવેલું છે. તો એવી પણ માન્યતા છે કે, પાંડવોએ વનવાસ દરમિયાન કટાસરાજમાં અમુક સમય વિતાવ્યો હતો. આ મંદિર ઘણું જ પવિત્ર અને પૌરાણિક છે જેના કારણે અહીં દર્શન કરવાથી અને મંદિર પાસે આવેલા સરોવરમાં સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે.