1 માર્ચ 2022ના રોજ મહાશિવરાત્રી મનાવવામાં આવશે. આ દિવસે દેશના તમામ શિવ મંદિરોમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ખાસ કરીને જ્યોતિર્લિગના દર્શન કરવા માટે શિવભક્તોનો મોટો મહેરામણ ઉમટી પડે છે.
મહાશિવરાત્રીના દિવસે દેશના તમામ શિવ મંદિરોમાં ઉમટે છે શિવભક્તો
જ્યોતિર્લિગના દર્શન કરવા માટે શિવભક્તોનો રહે છે ધસારો
આ શિવમંદિરના દર્શન કરવાથી વ્યક્તિને જન્મમાંથી મળે છે મુક્તિ
સંસાર નષ્ટ થશે તો પણ બચશે આ મંદિર
મહાશિવરાત્રિના પ્રસંગે આજે અમે એક એવા શિવ મંદિરની વાત કરીએ છીએ. જેના એક વખત પણ દર્શન કરી લેવાથી વ્યક્તિને બીજી વખત જન્મ લેવામાંથી મુક્તિ મળે છે. આ મંદિર મોક્ષ અપાવનારું છે. આ ખાસ મંદિર છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિગ. બનારસ-કાશીમાં સ્થિત કાશી વિશ્વનાથ જ્યોતિર્લિગને લઇને શિવપુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે પ્રલયકાળમાં આખા સંસારનો નાશ થાય છે. એવા સમયે પણ કાશી નગર પોતાના સ્થાન પર રહે છે. પ્રલય આવતા ભગવાન શંકર આ નગરને પોતાના ત્રિશૂળ પર ધારણ કરે છે અને સૃષ્ટિકાળ આવતા તેને નીચે ઉતારી દે છે. એટલેકે ભગવાન શિવ પોતે આ નગરની સુરક્ષા કરે છે. આ સિવાય ધર્મગ્રંથોમાં એવો પણ ઉલ્લેખ છે કે કાશીમાં મૃત્યુ પામતા વ્યક્તિને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે.
વિવાદ બાદ અહીં રહ્યાં હતા શિવ-પાર્વતી
કાશી વિશ્વનાથ જ્યોતિર્લિગને લઇને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા બાદ પણ માતા પાર્વતી પોતાના પિતાના ઘરે જ રહેતા હતા. એક વખત તેમણે પોતાના પતિ શિવજીને કહ્યું કે તેમને પોતાની સાથે લઇ જાઓ. ત્યારબાદ ભગવાન શિવ માતા પાર્વતીને લઇ આ પવિત્ર નગરી કાશીમાં લાવ્યા હતા અને અહીં આવીને વિશ્વનાથ જ્યોતિર્લિગના રૂપે સ્થાપિત થયા. આ જ્યોતિર્લિગના દર્શનથી વ્યક્તિના બધા પાપ ધોવાઈ જાય છે.
મંદિરના શિખર પર લાગ્યુ છે 22 ટન સોનુ
આ મંદિરનું મહત્વ જેટલુ મોટુ છે, એવી જ તેની ભવ્યતા છે. આ મંદિરનું શિખર 51 ફૂટ ઉંચુ છે અને તેના પર ઈન્દોરની મહારાની આહિલ્યાબાઈ હોલ્કરે 1777માં પાંચ મંડપ બનાવ્યા હતા. ત્યારબાદ 1853માં પંજાબના રાજા રણજીત સિંહે મંદિરના શિખરોને 22 ટન સોનાથી સ્વર્ણમંડિત કરાવ્યું હતુ.