રાજયમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકારે ત્રણ મોટા કાર્યક્રમો રદ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે કાગવડમાં ખોડલધામ પાટોત્સવના આયોજનને આયોજકોને મૂંઝવણ ઉભી થઇ હતી.જો કે, હવે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે નિવેદન આપ્યું છે. આગામી દિવસોમાં ખોડલધામ ખાતે યોજાનારા પાટોસ્તવ કાર્યક્રમ હવે વર્ચ્યુઅલી યોજવામાં આવશે તેમજ તમામ ધાર્મિક કાર્યક્રમો વર્ચ્યુઅલી જ યોજવામાં આવશે. તેમજ મહાસભાનું આયોજન પણ મોકૂફ કરવામાં આવ્યું છે. મહાસભાની નવી તારીખો પાછળથી જાહેર કરવામાં આવશે. આગામી દિવસોમાં ખોડલધામમાં યોજનારા વર્ચ્યુઅલ પાટોત્સવ કાર્યક્રમમાં ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો ઓનલાઈન જોડાઈને ઉજવણી કરશે.
પાટોત્સવને લઇને તડામાર તૈયારીઓ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ મહિનાથી આ મહોત્સવ યોજવા માટે સમગ્ર ખોડલ ધામ અને પાટીદાર સમાજ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ખુદ નરેશ પટેલ પણ સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી, સમાજને એકત્રિત થવા નિમંત્રણ આપી આવ્યા હતા. પરંતુ, ત્રીજી લહેરની ભયાવહ આશંકાઓ અને વધતા સંક્રમણના કારણે આ કાર્યક્રમ વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકારણમાં પ્રવેશ મુદ્દે નરેશ પટેલની પ્રતિક્રિયા
બીજી તરફ રાજકારણમાં પ્રવેશ મુદ્દે નરેશ પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, સમાજની લાગણી હશે તો રાજકારણમાં જોડાઇશ. આ અગાઉ અનેક લોકોએ મને રાજકારણમાં જોડાવવા માટે આગ્રહ કર્યો છે.