સામાન્ય રીતે સરકારના મંત્રીઓની છબી કેવી હોય છે? લોકો તેમના વિશે શું વિચારતા હોય છે. આ સવાલનો જવાબ એવો હોઈ શકે છે કે,મંત્રીઓ સચીવાલયમાં પોતાની કેબિનમાં બેઠા બેઠા કામગીરી કરે છે અને જનતા વચ્ચે જવાનું ભાગ્યે જ પસંદ કરે છે. પરંતુ એક મંત્રીએ જનતા માટે જાતે મોટરસાઇકલ પર જઈને એક સ્ટિંગ ઓપરેશન કર્યું છે જેના પરથી અન્ય નેતાઓએ પ્રેરણા લેવા જેવું છે.
ખેડૂતના વેશમાં યુરિયાની દુકાનમાં પહોંચ્યા મંત્રી
મંત્રીજીએ નકાબ ઉતાર્યો અને અધિકારીઓની ખુલી પોલ
મહારાષ્ટ્ર સરકારના આ મંત્રીના પગલાને સૌએ બિરદાવ્યું
1947થી દેશમાં અંગ્રેજોનું શાસન સમાપ્ત થયું અને તેની સાથે જ દેશના અનેક પ્રાંતમાંથી રાજાશાહી પણ ખતમ થઈ અને રજવાડાઓનું શાસન માત્ર કિસ્સાઓની કિતાબ બની ગયું. જોકે, તેમની શાસન વ્યવસ્થાના અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે. જેમાં મોટા ભાગના સફળ રાજાની એક સારી આદત વિશે પણ સાંભળ્યું હશે કે તેઓ પોતાના રાજ્યમાં શું ચાલી રહ્યું છે તે જાણવા ખુદ વેશ પલ્ટો કરીને નગરચર્યા કરતા હતા. આવું લોકશાહીમાં શક્ય છે ખરૂ..તો જવાબ છે હા. આવો કિસ્સો મહારાષ્ટ્રમાં બન્યો છે.
મંત્રીજીએ ખેડૂતનો વેશ ધારણ કર્યો
તમે જેનો અવાજ સાંભળ્યો તે સફેદ કપડામાં બીજી કોઈ નહી પરંતુ મહારાષ્ટ્રના કૃષિમંત્રી દાદાજી ભૂસે છે. દાદાજી ભૂસેને કેટલાક ખેડૂતોએ ફરિયાદ કરી કે ઓરંગાબાદમાં યુરિયાના વેપારીઓ ગેરરીતિ કરીને ખેડૂતોને પરેશાન કરી રહ્યા છે. ફરિયાદ મળતાની સાથે જ મંત્રીજીએ ખેડૂતનો વેશ ધારણ કર્યો. માથે ફાળિયુ બાંધ્યું અને મોટરસાઇકલ પર નિકળી પડ્યા. મંત્રીજી ખેડૂત બનીને યુરિયાના વિક્રેતા પાસે ગયા અને યુરિયા ખાતરની માગ કરી.
મંત્રીએ ખેડૂતનો નકાબ ઉતાર્યો અને અધિકારીઓ ફફડી ઉઠ્યા
જોકે, અહી ખેડૂતનારૂપમાં આવેલા મંત્રીજીને બેસાડી રાખવામાં આવ્યા અને અડધો કલાક વિનંતી કરી તો પણ યુરિયા ન આપ્યું અને પછી જોયા જેવી થઇ. મંત્રીજીએ પોતાનો નકાબ ઉતાર્યો અને અધિકારીઓ ફફડી ઉઠ્યા. જો કે ત્યારબાદ દાદાજી ભૂસેએ તાત્કાલિક સચીવને ફોન કર્યો.
સચીવ મહોદય ફોન રેકોર્ડ કરો, હું અત્યારે ઓરંગાબાદના નવભારત ફર્ટિલાઇઝરમાં છું. અહી મારી સામે કેશવ મોટે અને આનંદ ગંજેવાલ ADO. એક કલાકથી હું કૃષિમંત્રી દાદાજી ભુસે યુરિયા માગી રહ્યો છું, તો પણ મને યુરિયા નથી મળી રહ્યું. મેં આજીજી કરી. અડધો કલાક આજીજી કરી કે 5 ગૂણી યુરિયા આપો, પણ ન મળ્યું.
દુકાનની સાથે ગોડાઉનમાં પણ છાપેમારી કરી
મંત્રીજીએ દુકાનની સાથે ગોડાઉનમાં પણ છાપેમારી કરી. ત્યાં તેમને યુરિયાનો મોટો જથ્થો દેખાયો. આટલો સ્ટોક હોવા છતા ખેડૂતોને પુરતું યુરિયા ન મળતા ગુસ્સે ભરાયેલા મંત્રીએ તાત્કાલિક પગલા ભરવા આદેશ કર્યો.
દાદાજી ભુસે ઉદ્દવ સરકારના મંત્રી
દાદાજી ભુસે ઉદ્ધવ સરકારમાં શિવસેનાના ક્વોટામાંથી મંત્રી છે. તેઓ છેલ્લી ચાર ટર્મથી ચૂંટણી જીતી રહ્યા છે. આ વરીષ્ઠ મંત્રીએ વેશપલ્ટો કરીને ખેડૂતોનો યુરિયાનો પ્રશ્ન હલ કર્યો તે પ્રસંશનીય છે.. દેશના અન્ય મંત્રીઓ પણ આવી રીતે જ જો જમીન સાથે જોડાયેલા રહે તો ખેડૂતોની સમસ્યા શું છે તે સમજી શકે અને તેનુ સમાધાન લાવી શકે.. જો કે આવું કરવા માટે ક્યારેય એસી ઓફિસની ઠંડકની આદત અડચણરૂપ બનતી હોય છે.