મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ-શિવસેનાનું જોડાણ નક્કી છે. બેઠકોની વહેંચણી આગામી એક-બે દિવસમાં વહેંચવામાં આવશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે આ વાત કહી હતી. તેમણે સીટ વહેંચણીને લઈને બંને પક્ષો વચ્ચે મતભેદોના સમાચારને પાયાવિહોણા ગણાવ્યા હતા.
ચૂંટણી માટે ભાજપ-શિવસેના ગઠબંધન નક્કી
આગામી એક-બે દિવસમાં થશે બેઠકોની વહેંચણી
ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના પીઢ નેતાઓ સાથે કરી બેઠક
બેઠકોની વહેંચણીને લઇને કરવામાં આવેલ સવાલ પર ઉદ્ધવે કહ્યું કે, ચૂંટણીમાં 135-135 બેઠકોની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. શિવસેનાએ ભાજપને પાંચ વર્ષ સાથ આપ્યો છે. આગામી સમયમાં પણ લોકસભાની જેમ જ વિધાનસભા ચૂંટણી ગઠબંધન દ્વારા જ યોજાશે. આ પહેલા ઉદ્વવે પાર્ટીના પીઢ નેતાઓ સાથે એક બેઠક યોજી હતી અને વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ પર ચર્ચા કરી હતી.
144 બેઠકો નહીં તો ગઠબંધન તૂટી શકે : રાઉત
આ પહેલા ગુરુવારે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે જો પાર્ટીને વિધાનસભામાં 144 બેઠકો આપવામાં નહીં આવે તો ભાજપ સાથેનું જોડાણ તૂટી શકે છે. તેમણે કહ્યું હતું કે અમિત શાહ અને મુખ્ય પ્રધાન સમક્ષ 50-50% બેઠક વહેંચણીના ફોર્મ્યુલા પર નિર્ણય લેવામાં આવ્યો છે.
244 બેઠકોનું કરાશે વિભાજન
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ શિવસેનાને રાજ્યની 120 થી વધુ બેઠકો આપવા માંગતું નથી. રાજ્યમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે, જેમાં અન્ય સાથી પક્ષો માટે 44 બેઠકો છોડવામાં આવી છે. એટલે કે ભાજપ અને શિવસેના વચ્ચે માત્ર 244 બેઠકો પર વિભાજન થનાર છે. આમાં શિવસેના 144 બેઠકોની માંગ પર અડગ છે.
2014 માં અંતિમ ઘડીએ તૂટી ગયું હતું ગઠબંધન
2014 ની વિધાનસભાની ચૂંટણી વખતે પણ ભાજપ-શિવસેનાનું જોડાણ છેલ્લી ઘડીએ તૂટી ગયું હતું. બંને પક્ષોએ અલગ અલગ ચૂંટણી લડી હતી, પરંતુ ચૂંટણી બાદ બંનેએ સાથે મળીને સરકાર બનાવી હતી. આ સાથે જ આ વખતે કોંગ્રેસે એનસીપી સાથે જોડાણ કર્યું છે. એનસીપીના પ્રમુખ શરદ પવારે 125-125 બેઠકોના વિભાજનની ઘોષણા કરી છે. આવી સ્થિતિમાં શિવસેના અને ભાજપના જોડાણ સાથે પણ ચૂંટણી લડવાની સંભાવના છે.