ભારતમાં હાલમાં કોરોના વાયરસની નવી લહેર ચાલી રહી છે, અને છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્ર સૌથી વધુ દૈનિક કેસમાં, સૌથી વધુ એક્ટિવ કેસમાં એમ અને મોતના આંકડાઓમાં પણ ટોચ પર છે.
દેશમાં છેલ્લા કેટલાય સમયથી કોરોના કેસ મામલે મહારાષ્ટ્ર ટોચ પર છે
કોરોનાના સતત વધતાં જતાં કેસને લઈને રાજ્યમાં લોકડાઉન લાગી શકે છે
દેશમાં કોરોના વાયરસની નવી લહેર મોટા પાયે પાયમાલી સર્જી રહી છે, ત્યારે આ દરમિયાન, મહારાષ્ટ્રના જાલગાંવ જિલ્લામાંથી તંત્રને લોકોની એક આશ્ચર્યજનક હરકત જોવા મળી છે, આ હરકત જો કે એટલી ગંભીર છે કે જો તે સફળ થઈ જાત તો મહારાષ્ટ્રમાં બીજા સેંકડો લોકો આના લીધે કોરોના સંક્રમણમાં ફસાઈ શકે તેમ હતા.હકીકતમાં, મહારાષ્ટ્રના જલગાંવમાં, ગાદલામાં વપરાતા કપાસને બદલે વપરાયેલા માસ્ક ભરવામાં આવી રહ્યા હતા, પહેલા તો પોલીસ પણ આ માહિતી મળતા હેરાન થઈ ગઈ હતી, પણ વધુ સરપ્રાઈઝ ત્યારે થયું જ્યારે ઘટનાસ્થળે જઈને આ ઘટનાની તપાસ કરવામાં આવી હતી.
કપાસને બદલે ગાદલાંમાં ભરવામાં આવી રહ્યા હતા વપરાયેલા માસ્ક
એકબાજુ જ્યારે લોકો કોરોના સંક્રમણથી બચવા માટે તમામ સાવચેતી રાખી રહ્યા છે, ત્યારે ગાદલાની અંદર વપરાતા માસ્કનું ભરણ કેટલું જોખમી હોઈ શકે છે તેનો ખ્યાલ મેળવવો પણ મુશ્કેલ છે. મહત્વનું છે કે જ્યારે પોલીસ બનાવ સ્થળ પર તેની તપાસ કરવા માટે પહોંચી હતી, ત્યારે ત્યાં જઈને ખરાઈ કરતાં માલૂમ પડ્યું હતું કે આ માહિતી સાચી છે. જલગાંવના અમુક લોકોની મૂર્ખતાના આ સમાચાર એમઆઈડીસી પોલીસ મથકે આવ્યા કે મહારાષ્ટ્ર ગાદી સેન્ટરમાં કપાસને બદલે ગાદલા ભરવા માટે માસ્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સમાચાર સાંભળીને પોલીસ તંત્ર પણ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. તાત્કાલિક અસરથી, પોલીસ કાફલો ગાદલું બનાવવાની ફેક્ટરીમાં પહોંચ્યો હતો, અને પછી ગાદલામાં માસ્ક ભરવાનું કામ નિહાળ્યું હતું.
કારખાનાના માલિક વિરુદ્ધ કેસ નોંધ્યો
મીડિયા રિપોર્ટમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે મહારાષ્ટ્ર ગાદી સેન્ટરના માલિક અમજદ મન્સુરી સામે ગુનો નોંધ્યો છે. આ હરકતમાં ગાદી સેન્ટર સિવાય અન્ય કોણ કોણ ઇસમો સંડોવાયેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને સ્થળ પરથી વપરાયેલ માસ્કનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે, જે સળગાવી દેવામાં આવ્યો હતો.
દેશમાં 1.80 લાખથી વધુ નવા કેસ
મહત્વનું છે કે દેશમાં આજે 1.83 લાખ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે અને કોરોનાથી 800થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે જ સમયે, ભારત સહિત સમગ્ર વિશ્વના લોકો આ રોગચાળાને ટાળવા માટે તમામ પગલા લઈ રહ્યા છે. તેનાથી વિપરિત, જલગાંવમાં વપરાયેલા માસ્કથી ગાદલું ભરવાની આ હરકત લોકોમાં સંક્રમણને વધુ ફેલાવવાની શક્યતા વધારી નાખે છે, હાલ જલગાંવ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે, પરંતુ આ ઘટસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.