મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના લેટર બાદથી મહારાષ્ટ્રની સરકાર બેકફૂટ પર છે ત્યારે હવે શિવસેનાએ ખૂલીને પોતાની સરકારના જ ગૃહમંત્રી સામે નિવેદન આપ્યું છે.
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઘેરાયું
શિવસેના ગૃહમંત્રી દેશમુખને પૂછ્યા સવાલ
સામનામાં દેશમુખ પર કરવામાં આવ્યા સવાલ
ગૃહમંત્રીને ઓછું બોલવાની સલાહ
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ સતત વધતું જઈ રહ્યું છે. ભ્રષ્ટાચારના આરોપો બાદ ઠાકરે સરકાર દબાણમાં આવી ગઈ છે ત્યારે સરકારમાં સત્તા સંભાળી રહેલી શિવસેના પોતાની જ સરકારના ગૃહમંત્રીને સવાલ કરી રહી છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના માધ્યમથી રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર નિશાન સાધ્યું છે અને સાથે જ પાર્ટીએ તેમને ઓછું બોલવાની સલાહ પણ આપી છે. નોંધનીય છે કે અનિલ દેશમુખ એનસીપીના નેતા છે અને મહારાષ્ટ્રની ગઠબંધનની સરકારમાં તેઓ ઠાકરે બાદ બીજા નંબરના સૌથી મહત્વપૂર્ણ પદ પર છે.
ગૃહમંત્રીને દુર્ઘટનાથી મળ્યું છે આ પદ : શિવસેના
સામનામાં તો ત્યાં સુધી લખવામાં આવ્યું છે કે દેશમુખને ગૃહમંત્રી પદ દુર્ઘટનાવશ મળી ગયું છે. જયંત પાટિલ, દિલીપ વલસેએ ગૃહમંત્રી સ્વીકારવાની ના પાડી દીધી હતી જે બાદ દેશમુખને આ પદ આપવામાં આવ્યું હતું. સામનામાં સવાલ કરવામાં આવ્યો છે કે સચિન વાઝે મુંબઈ પોલીસમાં બેસીને વસૂલી કરી રહ્યો હતો અને ગૃહમંત્રીને જાણ ન હતી?
સરકાર પાસે કોઈ યોજના ન હતી : સામના
સામનામાં લખવામાં આવ્યું છે કે વિગત કેટલાક મહિનામાં જે થયું છે તેના કારણે મહારાષ્ટ્રના ચરિત્ર સામે જ સવાલ ઊભા થઈ ગયા છે. સરકાર પાસે ડેમેજ કંટ્રોલની કોઈ યોજના જ નથી. જે રાષ્ટ્ર પોતાનું ચરિત્ર સંભાળવા માટે સતર્ક ન રહે તે રાષ્ટ્ર ખતમ થઈ જશે તેવું માની લેવું જોઈએ.
ગૃહમંત્રી પર શિવસેનાના ગંભીર સવાલ
સામના અનુસાર દેશમુખે અધિકારોએ સાથે પંગો લઈ લીધો. ગૃહમંત્રીએ ઓછું બોલવું જોઈએ. કારણ વગર કેમેરા સામે જવું અને તપાસના આદેશ આપવા એ શોભા નથી આપતું. સંદિગ્ધ વ્યક્તિના ઘેરામાં રહીને રાજ્યના ગૃહમંત્રી પદ પર બેઠેલો વ્યક્તિ કામ ન કરી શકે. પોલીસ વિભાગ તો પહેલાથી બદનામ છે અને એવામાં આવી વાતોથી શંકા વધી જાય છે.
ડેમેજ કંટ્રોલની કોઈ યોજના જ ન હતી
સામનામાં સરકાર સામે પણ નિશાન સાધવામાં અવાયું કે જ્યારે પરમબીર સિંહે આરોપ લગાવ્યા ત્યારે કોઈ મોટાં મંત્રીએ સામે આવીને તે આરોપોને નકાર્યા નહીં. લોકોને પરમબીરના આરોપો સાચા લાગ્યા કારણ કે સરકાર પાસે ડેમેજ કંટ્રોલ માટે કોઈ જ યોજના ન હતી.
ભાજપે ઉદ્ધવ ઠાકરેને પૂછ્યા સવાલ
આ મુદ્દે હવે ભાજપે રાજકારણ શરૂ કરી દીધું છે. ભાજપના પ્રવક્તા રામ કદમે આર્ટીકલ મુદ્દે કહ્યું કે આજે સામનામાં જે લખવામાં આવ્યું છે તેનાથી સાફ છે કે શિવસેના માની રહી છે કે સરકારની ધજજીયા ઊડી ગઈ છે. મુખ્યમંત્રી પાસે તો અધિકાર છે ગૃહમંત્રીને હટાવવાનો, તો કેમ ન હટાવ્યા. શું તેમને એવો ડર છે કે ગૃહમંત્રી પોતાનો મોઢું ખોલી દેશે તો શિવસેના પણ ફસાઈ જશે? વસૂલી રેકેટમાં ત્રણેય પાર્ટીઓ સામેલ છે.