મહારાષ્ટ્રની સરકારને લઇને હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. શિવસેના-કોંગ્રેસ અને NCP ગઠબંધનની સરકાર બની છે અને મુખ્યમંત્રી તરીકે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે આવતીકાલે શપથ લેશે. મુંબઇમાં ઉદ્ધવ ઠાકરેની શપથવિધીને લઇને જોરદાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. શપથવિધિને લઇને દિગ્ગજ અલગ-અલગ પક્ષના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યાં છે.
ઉદ્ધવ ઠાકરે આવતી કાલે મુખ્યમંત્રી પદના શપથ લેશે
નવા ધારાસભ્યોએ આજે લીધા શપથ
ઉદ્ધવ ઠાકેરના શપથ ગ્રહણમાં આ દિગ્ગજો થઇ શકે છે સામેલ
ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણને લઇને શિવસેના દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ શપથ ગ્રહણમાં રાજ ઠાકરેને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવય મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, અશોક ગહેલોત, અખિલેશ યાદવ સહિત દિગ્ગજ નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
આ અગાઉ શિવસેનાના નેતા સંજય રાઉત કહી ચૂક્યા છે કે તેમના તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહને પણ આમંત્રણ આપવામાં આવશે. જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું શપથ ગ્રહણમાં આવવા પર સસ્પેન્સ બન્યું છે.
આજે ફરી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આવતી કાલે સાંજે મુખ્યમંત્રી પદની શપથ લેશે. તેની સાથે 6 મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે. જો કે તે અગાઉ આજે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠક યોજાશે. જેમાં મંત્રાલય તેમજ મંત્રી પદ પર ચર્ચા થઇ શકે છે.
સરકારમાં નહીં જોડાય CPM
ઉદ્ધવ ઠાકેરના મુખ્યમંત્રી પદના શપથ લીધા પહેલા મહારાષ્ટ્રમાંથી CPMનું નિવેદન આવ્યું છે. CPM એ જણાવ્યું કે તેઓ સરકારનો ભાગ નહીં બને પરંતુ ફલોર ટેસ્ટ દરમિયાન શિવસેના-કોંગ્રેસ-NCPનો વિરોધ કરશે નહીં.
ઉદ્ધવ સાથે અન્ય નેતા પણ શપથ લેશે
કોંગ્રેસ નેતા બાલસાહેબ થોરાટે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે આવતી કાલે મુખ્યમંત્રી પદની શપથ લેશે. તે સિવાય અન્ય લોકો પણ શપથ લેશે. થોડા સમયમાં જ મંત્રાલયને લઇને પણ નિર્ણય લેવામાં આવશે.
ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી
મુખ્યમંત્રી પદની શપથ લેવાને પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પત્ની રશ્મી ઠાકરે પણ સાથે રહી.