મહારાષ્ટ્રમાં કોરોના કેસ ઘટતા હવે 24 જાન્યુઆરીથી સ્કૂલો શરુ કરવાની સ્ટેટ એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડે જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં આવી રહ્યો છે મોટો ઘટાડો
24 જાન્યુઆરીથી શરુ થશે ધોરણ 1 થી 12 ની સ્કૂલો
સ્ટેટ એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડની જાહેરાત
મહારાષ્ટ્રમાં 24 જાન્યુઆરીથી ધોરણ 1થી 12 ની સ્કૂલો ખોલવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. હાલમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે અને સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યાં છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઘટાડો આવી રહ્યો છે અને તેથી હવે અહીં શૈક્ષણિક કાર્ય શરુ કરવાની દિશામાં પગલાં ભરાઈ રહ્યાં છે. આ સંદર્ભમાં ગુરુવારે મહારાષ્ટ્રના એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડે એવી જાહેરાત કરી છે કે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો આવી રહ્યો હોવાથી 24 જાન્યુઆરીથી ધોરણ 1 થી 12ની સ્કૂલો રાબેતા મુજબ શરુ થઈ જશે.
From 24 (January) we will be reopening schools for classes 1-12th with COVID protocols; CM has agreed to our proposal: Varsha Gaikwad, Maharashtra School Education Minister pic.twitter.com/Tji4l8Y0AF
કોવિડ પ્રોટોકોલ અનુસાર ધોરણ 1થી 12ની સ્કૂલો શરુ થશે- શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ
વર્ષા ગાયકવાડે જણાવ્યું કે અમે રાજ્યમાં કોવિડ પ્રોટોકોલ અનુસાર ધોરણ 1થી 12ની સ્કૂલો ખોલી રહ્યાં છે. મુખ્યમંત્રી ઠાકરે પણ અમારી દરખાસ્તને મંજૂરી આપી ચૂક્યા છે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે 24 જાન્યુઆરીથી પ્રી પ્રાઈમરી સ્કૂલો ખોલવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
We have also decided to open pre-primary schools (from January 24): Varsha Gaikwad, Maharashtra School Education Minister pic.twitter.com/pSn98HvEHY
માતાપિતાની સંમતિ જરૂરી
વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ સ્થળોએ કોવિડની જુદી જુદી સ્થિતિ બાદ તરત જ શાળા ખોલવામાં આવે તેવી કોવિડ ટાસ્ક ફોર્સ અને વાલીઓ પણ સતત માંગ કરી રહ્યા હોવાથી સ્થાનિક સ્તરે આ નિર્ણય લેવામાં આવશે.તેમણે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર બાળકોના સ્વાસ્થ્ય અને માતાપિતાની સંમતિ અનુસાર નિર્ણયો લેશે. તેમણે કહ્યું કે કોવિડ એસઓપી અને માતાપિતાની સંમતિ જરૂરી છે.
8 જાન્યુઆરીએ સ્કૂલો બંધ કરી દેવાઈ હતી
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ વધતા 8 જાન્યુઆરીએ સ્કૂલો બંધ કરી દેવાઈ હતી. તે વખતે રાજ્ય સરકારે 15 ફેબ્રુઆરી સુધી સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે કેસમાં ઘટાડો આવતા ફરી વાર સ્કૂલો શરુ કરવાની જાહેરાત કરી દેવાઈ છે. મહારાષ્ટ્ર સરકારનો શાળાઓ ખોલવાનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશમાં કોરોનાએ ફરી એકવાર ગતિ પકડી છે. ગુરુવારે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 3 લાખથી વધુ કેસ નોંધાયા છે, જે આઠ મહિનામાં સૌથી વધુ છે. દરમિયાન મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કોવિડ-19ના 3865 નવા કેસ સાથે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 6,81,420 થઈ ગઈ છે. એક અધિકારીએ ગુરુવારે આ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસ બુધવારે પ્રકાશમાં આવ્યા હતા.