મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના ખેડ વિસ્તારની કંપનીમાં મોટો બ્લાસ્ટ થયો હતો. ત્યાર બાદ વિકરાળ આગ લાગતા 3 લોકોના મોત થયા છે. જ્યારે આગમાં 40થી 50 લોકોના ફસાયાની આશંકા છે.
મહારાષ્ટ્રના રત્નાગીરીમાં એક કેમિકલ કંપનીમાં મોટો ધડાકો
કંપનીમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ, 3ના મોત
40થી 50 કર્મચારીઓ કંપનીમાં ફસાયેલા હોવાની આશંકા
રત્નાગિરીમાં લોટ એમઆઈડીસીની ઘરડા કેમિકલ કંપનીમાં આજે વહેલી સવારે વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ બાદ કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ કંપનીના કેટલાક કર્મચારીઓ આ બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયા હતા. તેમાંથી ત્રણના મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત કામદારોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્ફોટ કયા કારણોસર થયો છે તે હાલ જાણી શકાયું નથી.
આગમાં 40થી 50 લોકોના ફસાયાની આશંકા
કંપનીમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગી હતી. જેને લઇને આગમાં 40થી 50 લોકોના ફસાયાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. તો 5થી 6 લોકોની સ્થિતી ગંભીર હોવાનું જણાઇ રહ્યું છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. કેટલાક કર્મચારીઓ અંદર ફસાઇ ગયા હોવાની આશંકા છે જેથી તેને બહાર કાઢવાના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
એક અઠવાડિયામાં એમઆઈડીસીમાં બીજો વિસ્ફોટ
છેલ્લા આઠ દિવસોમાં એમઆઈડીસીમાં આ બીજો બ્લાસ્ટ થયો છે. થોડા દિવસો અગાઉ એમઆઈડીસીમાં સુપ્રિયા કેમિકલ કંપનીમાં વિસ્ફોટ થયો હતો અને હવે ઘરડા કેમિકલ કંપનીમાં વિસ્ફોટ થયો છે.