કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શિવસેનાના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરે સાથે વાત કરી હતી. રાહુલે પોતાના નિવેદનની સ્પષ્ટતા કરતાં કહ્યું કે એમવીએ સરકાર અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે કોંગ્રેસ છે. હકિકતમાં રાહુલે ગઈકાલે કહ્યું હતું કે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ડિસિઝન મેકરની ભૂમિકામાં નથી. આ નિવેદન પછી રાજકારણ ગરમાયુ હતુ.
રાહુલ ગાંધીએ આદિત્ય ઠાકરે સાથે વાત કરી
રાહુલે કહ્યું ઉદ્ધવ સરકારની સાથે છે કોંગ્રેસ
ગઈ કાલે રાહુલે મહારાષ્ટ્રમાં ડિસીઝન મેકર ન હોવાની વાત કરી હતી
જોકે, મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ તરત જ નિવેદન આપ્યું હતું કે અમે ઉદ્ધવ સરકારની સાથે છીએ. આ પછી શિવસેનાએ એમ પણ કહ્યું હતું કે તમામ સાથીઓ એક સાથે છે અને મહારાષ્ટ્ર સરકાર સ્થિર છે. હવે રાહુલ ગાંધીએ આદિત્ય ઠાકરે સાથે વાત કરીને તમામ પ્રકારની અફવાઓ બંધ કરી દીધી છે.
શું છે આખો મામલો
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા ગ્રાફ પર મંગળવારે રાહુલ ગાંધીએ કહ્યું કે અમે મહારાષ્ટ્રમાં સરકારને સમર્થન આપી રહ્યા છીએ પરંતુ અમે નિર્ણય લેવામાં સક્ષમ નથી. અમે પંજાબ-છત્તીસગઢ-રાજસ્થાનમાં નિર્ણય લેવામાં સક્ષમ છીએ. જ્યાં વધુ કનેક્ટેડ સ્થાનો છે ત્યાં કોરોના છે. તેથી જ મુંબઈ-દિલ્હીમાં વધુ કેસ છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે "અમે મહારાષ્ટ્રમાં સરકારને સમર્થન આપી રહ્યા છીએ. પરંતુ નિર્ણય લેવામાં સક્ષમ નથી." અમે પંજાબ-છત્તીસગઢ-રાજસ્થાનમાં નિર્ણય લેવામાં સક્ષમ છીએ. મહારાષ્ટ્રને પણ કેન્દ્ર સરકારની મદદ લેવી જોઈએ. અમે ફક્ત કેન્દ્ર સરકારને જ સૂચનો આપી શકીએ છીએ. પરંતુ સરકારે શું માનવું છે તે તેમના પર છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસે તુરંત જ નિવેદન આપ્યું હતું
રાહુલ ગાંધીના નિવેદન પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઉદ્ધવ સરકારના મંત્રી બાળાસાહેબ થોરાટે કહ્યું હતું કે કોંગ્રેસ અને મહા વિકાસ અઘાડી (એમવીએ) ના અન્ય પક્ષો વચ્ચે કોઈ ફરક નથી. કોંગ્રેસ નાખુશ નથી. અમે બધા અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વાર મળીએ છીએ અને મિટિંગ પણ કરીએ છીએ.