મહારાષ્ટ્રનો રાજકીય વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. શિવસેનાના 37 બળવાખોર ધારાસભ્યોના સમર્થન સાથે જૂથને અસલી શિવસેના બતાવી રહેલા એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ ઉપરાંત ધારાસભ્ય ભરત ગોગાવલે પણ અરજી દાખલ કરી છે. બંને અરજીમાં કહેવાયુ છે કે, વિધાનસભા ઉપાધ્યક્ષ તરફથી આ જૂથના ધારાસભ્યો વિરુદ્ધ કરવામાં આવેલી અયોગ્યતાની કાર્યવાહી ખોટી છે. તેના પર રોક લાગવી જોઈએ.
આ દિગ્ગજ વકીલો કરશે દલીલ
અરજીમાં અજય ચૌધરીને શિવસેના ધારાસભ્ય દળના નેતા બનાવામાં આવ્યા છે, તે ગેરકાયદેસર ગણાવ્યું છે. શિંદે કેમ્પ તરફથી મહેશ જેઠમલાની અને હરીશ સાલ્વે દલીલ કરી શકે છે. ઉદ્ધવ ઠાકરે તરફથી કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, રાજીવ ધવન, દેવદત્ત કામત સહિત અન્ય વકીલો દલીલ રાખશે.
શિંદે કેમ્પના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણી કરવાની ભલામણ કરી છે. આજે આ કેસમાં જસ્ટિસ સૂર્યકાંત અને જમશેદ પારડીવાલાની બેંચ સામે આવી શકે છે. અરજીમાં કહેવાયુ છે કે, ધારાસભ્યોએ વિધાનસભા ઉપાધ્યક્ષ નરહરિ જિરવાલને પદથી હટાવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. તે અટવાઈ જતાં તેને ધારાસભ્યો તરીકે અયોગ્ય ઠેરવવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.