શિવસેનાના નેતાઓ મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર પાઠક સુરત પહોંચ્યા, શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને મેરેડિયન હોટલમાં મળશે
શિવસેનાના બે નેતાઓ સુરત હોટલ પહોંચ્યા
હાલ શિવસેનાના બળવાખોર ધારાસભ્યો રોકાયા છે મેરેડિયન હોટલમાં
એકનાથ શિંદેને ઉદ્ધવ ઠાકરેનો સંદેશો આપશે
મહારાષ્ટ્ર સરકારના ઘણા નારાજ ધારાસભ્યો મંત્રી એકનાથ શિંદે સાથે ગુજરાતમાં સુરતની મેરેડિયન હોટલમાં આવી ગયા છે. તેની વચ્ચે ઉદ્ધવ ઠાકરે નારાજ શિંદે અને મનાવવા માટે શિંદેના નજીક માનવામાં આવતાં રવીન્દ્ર પાઠક અને મિલિંદ નાર્વેકર તાબડતોબ સુરત ખાતે મોકલ્યા હતા. ત્યારે બંને નેતાઓ સુરતની હોટલ ખાતે આવી પહોંચ્યા છે. જ્યાં તેઓ એકનાથ શિંદે સાથે મુલાકાત કરી રોષ ખાળવાના પ્રયાસ કરશે.
શું મિલિંદ નર્વેકર એકનાથ શિંદે મનાવવામાં રહેશે સફળ?
આમ જોવા જોઈએ તો એકનાથ શિંદેના ટ્વિટ પરથી લાગી રહ્યું છે કે તેઓ શિવસેના સામે ફૂલ મૂડમાં છેડો ફાડવાની તૈયારીમાં છે. એકનાથ શિંદેનો કોઈ કોન્ટેક્ટ ન થતાં ઉદ્ધવ ઠાકરે તેમના ખાસ ગણાતા બે લોકોને મનાવવા સુરત મોકલ્યા છે. મિલિંદ નર્વેકર અને રવીન્દ્ર પાઠક શિંદેના ખાસ મિત્રો છે. જેથી તેમણે આ જવાબદારી શિવસેના તરફથી સોંપવામાં આવી છે. પણ હિન્દુત્વનો રાગ અલાપી શિંદે સાથી ધારાસભ્યો સાથે કઈંક મોટું કરવાની ફિરાકમાં છે. રિસામણા મનામણાનો 'સામનો' એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના દૂત બનીને આવેલા નેતાઓ કેવી રીતે પાર પાડે છે તે હોટલની મુલાકાત બાદ બહાર આવશે.
એકનાથ શિંદે સાથે મારી વાત થઈ: સંજય રાઉત
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પર ખતરો મંડારાઈ રહ્યો છે. આ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતની મોટું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે એકનાથ શિંદે સાથે તેમની વાતચીત થઈ ગઈ છે. આ સમગ્ર તોડજોડ પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. ઈડીની કાર્યવાહીના ડરથી એકનાથે આ પગલું ભર્યું હોવાનું પણ રાઉતે જણાવ્યું છે. રાઉતે કહ્યું કે ઘણા ધારાસભ્યો સાથે મારો સંપર્ક થઈ ગયો છે. તેમણે પ્રેશર કરી સુરત લાવવામાં આવ્યા છે. તેમના એક ધારાસભ્ય રાત્રીના જ સુરતથી મુંબઈ આવવાની કોશિશ કરી રહ્યા છે. તેમની સાથે અન્ય 4 MLA પણ મહારાષ્ટ્ર આવવાના પ્રયાસ કર્યા હતા. પણ ગુજરાત પોલીસે ધારાસભ્યોને જકડી રાખ્યા છે. મહારાષ્ટ્ર પોલીસને ગુજરાત જવાનો મોકો આપવામાં આવે તો તમામ ધારાસભ્યો પરત આવી શકે છે. મિલિંદ નર્વેકર અને રવીન્દ્ર પાઠક સુરત પહોંચી ગયા છે પણ તેમણે બાગી ધારાસભ્યોને મળવા દેવામાં આવ્યા ન હોવાનો પણ સંજય રાઉત આરોપ કરી રહ્યા છે.
17 થી 18 ધારાસભ્યો જ શિંદેની સાથે: સંજય રાઉત
વધુમાં રાઉતે કહ્યું હતું કે એકનાથ શિંદેનો સાથ આપવા વાળા તમામ મંત્રીઓનું મંત્રી પદ છીનવી લેવામાં આવશે. એકનાથ શિંદેને મનાવવાની કોશિશો કરાઇ રહી છે. એકનાથ શિંદે સાથે 27 નહીં પણ 17 થી 18 ધારાસભ્યો હોવાનો દાવો પણ રાઉત દ્વારા કરવામા આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં આજ સવારથી શિવસેનામાં ભંગાણના સમાચાર સામે આવી રહ્યાં છે. શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ જોવા મળી રહ્યાં છે. નેતા એકનાથ શિંદે સાથે સંપર્ક ન થતા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પણ એક્ટિવ થયા છે.ત્યારે ઉદ્ધવ દૂત તરીકે આવેલા મિલિંદ નર્વેકર સુરત ખાતેની હોટેલ પર સંદેશો લઈ આવી પહોંચ્યા છે.