મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા પર થોડા સમયમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે. દિલ્હીમાં કોંગ્રેસની બીજી બેઠક યોજાઇ હતી. જેમાં મહારાષ્ટ્રના તમામ પાર્ટી નેતા પહોંચ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બેઠકમાં જ શિવસેનાને સમર્થન આપવા પર નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે હજુ સુધી આ મામલે જાહેરાત કરવામાં આવી નથી. કોંગ્રેસના નિર્ણય બાદ એનસીપી પણ પોતાનો નિર્ણય લેશે. જો બન્ને પાર્ટીઓ શિવસેનાને સમર્થન આપવા માટે રાજી થશે તો આજે સાંજે જ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા પર ચિત્ર સ્પષ્ટ થઇ જશે. આ વચ્ચે કોંગ્રેસ તરફથી સરકારની ફૉર્મૂલા પણ સામે આવી છે.
કોંગ્રેસે હજુ સુધી સ્પષ્ટ નથી કર્યું ચિત્ર
શિવસેનાને સમર્થન આપતા પહેલા પવાર સાથે વાત કરશે સોનિયા
હજુ સુધી શિવસેનાને નથી મળ્યું સમર્થન પત્ર
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ડીલ ફાઇનલ થઇ ગઇ હોય તેવું સામે આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાનીમાં બનનારી સરકારને બહારથી સમર્થન આપી શકે છે. આના બદલે કોંગ્રેસ સ્પીકરની પોસ્ટ માંગી શકે છે. આ સિવાય કોંગ્રેસ ચલાવવા માટે કૉમન મિનિમમ પ્રોગ્રામ પણ બનાવવા માંગે છે. જોકે આ મામલે અંતિમ નિર્ણય લેતા પહેલા કોંગ્રેસ એક વખત ફરીથી એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથે વાત કરશે.
મહારાષ્ટ્રની આ સરકારમાં શિવસેના અને એનસીપી સરકારમાં સામેલ થશે, જ્યારે કોંગ્રેસ સરકારને બહારથી સમર્થન આપી શકે છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરએ સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે બન્ને વચ્ચે સરકાર બનાવવાને લઇને શરતો અને સરકારના સ્વરૂપ પર ચર્ચા થઇ.
દિલ્હીમાં સોનિયા ગાંધીની સાથે મહારાષ્ટ્ર કોંગ્રેસના મોટા નેતાઓની બેઠક યોજાઇ હતી. જયપુરમાં હાજર પોતાના ધારાસભ્યોએ પણ સોનિયા ગાંધી સાથે વાત કરી હતી અને બહારથી સમર્થન આપવા માટે રાજી કર્યા છે. જોકે મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો સરકારમાં સામેલ થવા માંગતા હતા. ત્યારે હજુ સુધી કોંગ્રેસે સત્તાવાર સમર્થન આપ્યું નથી.
સરકાર બનાવવા પર ફરી સંકટ, સમર્થન આપતા પહેલા NCP સાથે વાત કરશે સોનિયા
કોંગ્રેસે શિવસેનાને સમર્થન આપવાના મુદ્દે સોમવારે 10 જનપથમાં બેઠક કરી. સોનિયાની અધ્યક્ષતામાં થયેલ આ બેઠકમાં શિવસેનાને સમર્થન આપવા પર ચર્ચા થઇ. કોંગ્રેસ કહ્યું કે, સોનિયા ગાંધીએ શરદ પવાર સાથે વાત કરી છે અને આ મુદ્દે ફરીથી એનસીપી સાથે વાત કરી શકે છે.
કોંગ્રેસે લેટરહેડ જાહેર કરીને કર્યો ખુલાસો
કોંગ્રેસે કહ્યું કે, શિવસેનાને સમર્થન પત્ર હજુ સુધી આપ્યો નથી. NCP સાથે ચર્ચા બાદ આખરી નિર્ણય લેવાશે. NCP પ્રમુખ શરદ પવાર સાથે ફરી ચર્ચા કરીશું. શિવસેનાને સમર્થન પર મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે ચર્ચા થઇ છે. પક્ષના નિવેદને તમામ મામલે સ્પષ્ટતા કરી છે. કોંગ્રેસે પોતાનું નિવેદન જાહેર કર્યુ છે. અમે વધુ એક વખત શરદ પવાર સાથે ચર્ચા કરીશું.
રાજ્યપાલે ન આપ્યો શિવસેનાને સમય
રાજ્યપાલ સાથે મુલાકાત બાદ શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે રાજ્યપાલને કહ્યું કે શિવસેના સરકાર બનાવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, અમે રાજ્યપાલ પાસે 2 દિવસનો સમય માંગ્યો હતો પરંતુ તેમણે ઇન્કાર કરી દીધો છે. ઠાકરેએ કહ્યું કે બીજા પક્ષો સાથે શિવસેનાની વાતચીત ચાલી રહી છે, પરંતુ તેમનો પત્ર મેળવવામાં સમય લાગી રહ્યો છે, તેવામાં અમને સમય આપવામાં આવે, જોકે રાજ્યપાલે શિવસેનાને સમય આપવાનો ઇન્કાર કરી દીધો છે. જોકે હજુ સુધી રાજ્યપાલે શિવસેનાને દાવાને નામંજૂર નથી કર્યો.
શિવસેના પાર્ટીના નેતા ચંદ્રકાંત પાટિલે દેવેન્દ્ર ફડણવીસ સાથે કરી મુલાકાત
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને દરેક પક્ષ પોતાનું જોર લગાવી રહ્યા છે. ભાજપ હવે ફરીથી કોર કમિટીની બીજી બેઠક કરવા જઇ રહી છે. પાર્ટી નેતા ચંદ્રકાંત પાટિલ દેવેન્દ્ર ફડણવીસે મુલાકાત માટે તેમના ઘરે પહોંચ્યા છે. ત્યારે શિવસેના સચિન મિલિંદ નાવેંકરે કોંગ્રેસના અહેમદ પટેલ સાથે મુલાકાત કરી છે.
સોનિયાએ ઉદ્ધવ ઠાકરે સાથે કરી વાત
મહારાષ્ટ્રમાં શિવસેનાને સમર્થન આપવાના નિર્ણય પર વિચાર કરવા માટે સોનિયા ગાંધીની સાથે દિલ્હીમાં કોંગ્રેસના મોટા નેતાઓની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત અહેમદ પટેલ અને એકે એન્ટની જેવા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ફોન કરીને સોનિયા ગાંધી સાથે વાત કરી છે. આ બેઠકમાં જ શિવસેનાને સમર્થન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોંગ્રેસે મંત્રી અને Dy CM પદ માંગ્યું
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસે CWCની બેઠક બાદ એવી માંગ કરી છે કે શિવસેનાના મુખ્યમંત્રી હોય પણ NCP અને કોંગ્રેસના બે નાયબ મુખ્યમંત્રી હોય. આ સાથે કેબિનેટ મંત્રાલયમાં પણ શિવસેના-NCP અને કોંગ્રેસના 14-14 મંત્રી હોવા જોઈએ. જો શિવસેના આ ફૉર્મ્યુલા સ્વીકારવા તૈયાર હોય તો કોંગ્રેસ ટેકો દેવા તૈયાર છે.
કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંતનું મોટું નિવેદન
કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંતે રાજીનામું આપ્યાં બાદ કહ્યું કે મહારાષ્ટ્રમાં નવી સરકાર બની રહી છે. ઠાકરે પરિવાર વચનો પાક્કો છે અને તે નિભાવીને રહેશે. ભાજપ સાથે 50-50 ફોર્મ્યુલાનો વાયદો હતો અને તેમાં CM પદ પણ શામેલ હતું પરંતુ તે ભાજપે નિભાવ્યો નહીં. ઠાકરે પરિવારને આ બાબતથી દુઃખ પહોંચ્યું છે અને તેથી જ અમારું ગઠબંધન ટુટ્યું છે. આવી પરિસ્થિતિમાં મારું કેબિનટેમાં રહેવું યોગ્ય નથી. મેં મારું રાજીનામું PM મોદીને મોકલી આપ્યું છે. મારું રાજીનામું આપવાનો મતલબ તમે સમજી જ શકો છો.
કેવી રીતે બનશે શિવસેનાની સરકાર
શિવસેના પાસે 56 ધારાસભ્યો છે. મહારાષ્ટ્રમાં કુલ વિધાનસભાની 288 બેઠક છે. કોઇપણ પક્ષને સરકાર બનાવા માટે 145નો આંકડો જોઇએ. આવા સમયે 54 બેઠકવાળી શરદ પવારની NCPનું સમર્થન શિવસેનાને મળી જાય તો પણ આંકડો 110 સુધી પહોંચી શકે છે. ત્યારે શિવસેનાને સરકાર બનાવવા માટે દાવા રજૂ કરવા પર 35 ધારાસભ્યોના સમર્થનની જરૂરિયાત પડે.
એવામાં અન્ય પાર્ટી તેમજ અપક્ષ ઉમેદાવારના ખાતામાં 27 બેઠક ગઇ છે. જ્યારે કોંગ્રેસ પાસે 44 સીટ છે. આવામાં શિવસેના ગઠબંધનને એનસીપી સિવાય 35 બેઠકની જરૂરિયાત પડી શકે છે. આમ આવા સંજોગોમાં કોંગ્રેસના સમર્થન સિવાય કોઇ વિકલ્પ નથી. આમ કોંગ્રેસ, શિવસેના અને NCP સાથે આવી જાય છે તો આ ગઠબંધન બહુમતિના જાદુઇ આકાડાંને પાર કરી શકે છે. ત્રણેય પક્ષની કુલ 154 બેઠક થઇ જાય છે.