બેઠકમાં શિવસેના MVA થી છેડો ફાડી બહાર આવે તેવી મુકાઇ માંગ
મહારાષ્ટ્ર સરકારના ઘણા નારાજ ધારાસભ્યો મંત્રી એકનાથ શિંદે સાથે ગુજરાતમાં સુરતની મેરેડિયન હોટલમાં આવી ગયા છે. તેની વચ્ચે ઉદ્ધવ ઠાકરે નારાજ શિંદે અને મનાવવા માટે શિંદેના નજીક માનવામાં આવતાં રવીન્દ્ર પાઠક અને મિલિંદ નાર્વેકર તાબડતોબ સુરત ખાતે મોકલ્યા હતા. બંને નેતાઓ સુરતની હોટલ મેરેડિયન ખાતે એકનાથ શિંદે સાથે લગભગ 1 કલાકથી વધુ સમય બેઠક કરી હતી. જેમાં 3 મોટી શરતો એકનાથ શિંદે અને નારાજ ધારાસભ્યો દ્વારા મૂકવામાં આવી છે.
કઈ 3 મોટી શરતો એકનાથ શિંદેએ મૂકી?
MVA થી છેડો ફાડી બહાર આવે શિવસેના
ભાજપ સાથે મળે સરકાર બનાવે
સસ્પેન્ડ એકનાથ શિંદેને ફરી પદ પરત કરે
શું મિલિંદ નર્વેકર એકનાથ શિંદે મનાવવામાં ના સફળ?
મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર પાઠક એકનાથ શિંદેને સાંભળી ઉદ્ધવ ઠાકરેનો સંદેશો આપી પરત મુંબઈ ફર્યા છે. આમ જોવા જોઈએ તો એકનાથ શિંદેના ટ્વિટ પરથી લાગી રહ્યું છે કે તેઓ શિવસેના સામે ફૂલ મૂડમાં છેડો ફાડવાની તૈયારીમાં છે. એકનાથ શિંદેનો કોઈ કોન્ટેક્ટ ન થતાં ઉદ્ધવ ઠાકરે તેમના ખાસ ગણાતા બે લોકોને મનાવવા સુરત મોકલ્યા હતા. મિલિંદ નર્વેકર અને રવીન્દ્ર પાઠક શિંદેના ખાસ મિત્રો છે. જેથી તેમણે આ જવાબદારી શિવસેના તરફથી સોંપવામાં આવી હતી. પણ હિન્દુત્વનો રાગ અલાપી શિંદે સાથી ધારાસભ્યો સાથે કઈંક મોટું કરવાની ફિરાકમાં છે. રિસામણા મનામણાનો 'સામનો' એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના દૂત બનીને આવેલા નેતાઓ સામે 3 મોટી શરતો જે અશક્ય માનવવામાં આવી રહી છે તે મૂકી છે. ત્યારે આ શરતોનો સામનો શિવસેના અને ઉદ્ધવ સરકાર કઈ રીતે કરે છે તે જેમ જેમ રાજકીય ખેલના પત્તા ઉઘડશે તેમ તેમ ખબર પડશે.હાલ તો બેઠક બાદ પણ નારાજગી યથાવત જોવા મળી રહી છે.
એકનાથ શિંદે સાથે મારી વાત થઈ: સંજય રાઉત
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પર ખતરો મંડારાઈ રહ્યો છે. આ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતની મોટું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે એકનાથ શિંદે સાથે તેમની વાતચીત થઈ ગઈ છે. આ સમગ્ર તોડજોડ પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. ઈડીની કાર્યવાહીના ડરથી એકનાથે આ પગલું ભર્યું હોવાનું પણ રાઉતે જણાવ્યું છે. રાઉતે કહ્યું કે ઘણા ધારાસભ્યો સાથે મારો સંપર્ક થઈ ગયો છે. તેમણે પ્રેશર કરી સુરત લાવવામાં આવ્યા છે. તેમના એક ધારાસભ્ય રાત્રીના જ સુરતથી મુંબઈ આવવાની કોશિશ કરી રહ્યા છે. તેમની સાથે અન્ય 4 MLA પણ મહારાષ્ટ્ર આવવાના પ્રયાસ કર્યા હતા. પણ ગુજરાત પોલીસે ધારાસભ્યોને જકડી રાખ્યા છે. મહારાષ્ટ્ર પોલીસને ગુજરાત જવાનો મોકો આપવામાં આવે તો તમામ ધારાસભ્યો પરત આવી શકે છે. મિલિંદ નર્વેકર અને રવીન્દ્ર પાઠક સુરત પહોંચી ગયા છે પણ તેમણે બાગી ધારાસભ્યોને મળવા દેવામાં આવ્યા ન હોવાનો પણ સંજય રાઉત આરોપ કરી રહ્યા છે.
17 થી 18 ધારાસભ્યો જ શિંદેની સાથે: સંજય રાઉત
વધુમાં રાઉતે કહ્યું હતું કે એકનાથ શિંદેનો સાથ આપવા વાળા તમામ મંત્રીઓનું મંત્રી પદ છીનવી લેવામાં આવશે. એકનાથ શિંદેને મનાવવાની કોશિશો કરાઇ રહી છે. એકનાથ શિંદે સાથે 27 નહીં પણ 17 થી 18 ધારાસભ્યો હોવાનો દાવો પણ રાઉત દ્વારા કરવામા આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં આજ સવારથી શિવસેનામાં ભંગાણના સમાચાર સામે આવી રહ્યાં છે. શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ જોવા મળી રહ્યાં છે. નેતા એકનાથ શિંદે સાથે સંપર્ક ન થતા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પણ એક્ટિવ થયા છે.ત્યારે ઉદ્ધવ દૂત તરીકે આવેલા મિલિંદ નર્વેકર સુરત ખાતેની હોટેલ પર સંદેશો લઈ આવી પહોંચ્યા છે.
જુઓ ક્યાંથી ખેલ શરૂ થયો?
મહારાષ્ટ્રમાં રાજકીય ખેલ રાજ્યસભા ચૂંટણીથી શરૂ થયો હતો. અહીં યોજાયેલ રાજ્યસભાની ચૂંટણીમાં 113 ધારાસભ્યોના સમર્થનવાળી ભાજપને 123 વોટ મળ્યા હતાં. ત્યાર બાદ MLC ચૂંટણીમાં તેની તાકાત વધારે વધતી જોવા મળી હતી. સોમવારના રોજ યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 134 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે અને ભાજપ અહીં વિધાન પરિષદના પોતાના તમામ પાંચેય ઉમેદવારો જીતવામાં સફળ રહ્યાં. તેનાથી વિપરીત, શિવસેનાને પોતાના 55 ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોને સમર્થન હોવા છતાં માત્ર 52 મત મળ્યા હતા.તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણી બાદ વિધાન પરિષદની ચૂંટણીમાં પણ મહાવિકાસ અઘાડી સરકારમાં સામેલ પક્ષોના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. વિધાનસભામાં ભાજપના 106 ધારાસભ્યો છે. અપક્ષો સહિત આ સંખ્યા 113 સુધી પહોંચી ગઈ હતી. પરંતુ તેઓને રાજ્યસભાની ચૂંટણીમાં 123 વોટ મળ્યા અને MLCની ચૂંટણીમાં 134 વોટ મળ્યા હતા. આ રીતે એકનાથ શિંદેએ ખુલ્લેઆમ વિદ્રોહનો ઝંડો ઉઠાવ્યા બાદ સીએમ ઉદ્ધવ ઠાકરેની સામે રાજકીય સંકટ ઊભું થયું છે.
જુઓ શું છે મહારાષ્ટ્ર વિધાનસભાનું આંકડાકીય ગણિત?
મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટો હતી. આથી સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોની જરૂર છે. પરંતુ શિવસેનાના એક ધારાસભ્યનું અવસાન થતા હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં 287 સીટો જ બાકી છે અને એવામાં સરકાર બનાવવા માટે એટલે કે બહુમતી માટે 144 ધારાસભ્યોની જરૂર છે. બળવા પહેલાં શિવસેનાની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડીને 169 ધારાસભ્યોનું સમર્થન હતું, જ્યારે ભાજપ પાસે 113 ધારાસભ્યો અને વિપક્ષમાં 5 અન્ય ધારાસભ્યો છે.
ભાજપ પાસે હાલમાં 113 ધારાસભ્યો
મહારાષ્ટ્રમાં મુખ્ય વિપક્ષી દળ ભાજપ પાસે 113 ધારાસભ્યોનું સમર્થન છે. જેમાં ભાજપના 106, RSPના 1, જેએસએસના 1 અને 5 અપક્ષ ધારાસભ્ય સામેલ છે. જ્યારે અન્ય પક્ષોની પાસે 5 ધારાસભ્ય છે. જેમાં AIMIM ના 2, CPIના 1 અને MNSના 1 ધારાસભ્ય સામેલ છે.
જુઓ કેવી રીતે શિંદેએ બગાડી નાખ્યું ઉદ્ધવ ઠાકરેનું ગણિત?
એકનાથ શિંદેની સાથે બળવાખોર કરનારા 30 ધારાસભ્યો છે કે જે ઉદ્ધવ સરકારની સાથે છે. એવામાં હવે ઉદ્ધવ સરકાર પાસેથી જો આ 30 ધારાસભ્યોનું સમર્થન હટાવી દઇએ તો ઉદ્ધવ સરકાર પાસે 139 ધારાસભ્યો જ બચે છે. એવામાં અપક્ષ અને અન્ય કેટલીક નાની પાર્ટીઓના 2થી 3 ધારાસભ્યો જો ઉદ્ધવ ઠાકરે સરકારનો સાથ છોડી દે છે તો લગભગ એ તો નક્કી છે કે ઠાકરે સરકાર માટે વિધાનસભામાં બહુમત સાબિત કરવું એ મુશ્કેલ થઇ શકે છે. જો કે, આ રીતે, મહાવિકાસ અઘાડી બહુમતની ઓછી સંખ્યા પર આવી ગઈ છે.