મહારાષ્ટ્રમાં અનિલ દેશમુખ પર લાગેલા આરોપો બાદ રાજકીય સંકટ પેદા થયું છે ત્યારે ભાજપ ફરી ઠાકરે સરકારની પાર્ટીઓ વચ્ચે અસંતોષનો ફાયદો ઉતાવવાના પ્રયાસ કરી શકે છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે રાજકીય સંકટ
ચૂંટણી પતે પછી ફરી એક્ટિવ થઈ શકે છે ભાજપ
ઠાકરે સરકારનું ટેન્શન વધશે
ફડણવીસ આક્રમક
મહારાષ્ટ્રમાં અત્યારે કોરોના વાયરસનું સંકટ સૌથી મોટું છે. પરંતુ રાજ્યના રાજકીય સંકટ પણ ઘેરાતું જઈ રહ્યું છે. એન્ટિલિયા કેસમાં સચિવ વાઝેની ભૂમિકા અને તે બાદ પરમબીર સિંહ દ્વારા મહારાષ્ટ્રના ગૃહમંત્રી પર લગાવવામાં આવેલા આરોપો બાદથી રાજ્યમાં રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ આ મુદ્દાને લઈને અતિ આક્રમક મોડમાં છે. તેમણે મુંબઈથી લઈને દિલ્હી સુધી રાજ્યપાલ અને કેન્દ્રીય ગૃહ સચિવ સાથે મુલાકાત કરીને મહારાષ્ટ્ર સરકાર સામે મોરચો બનાવ્યો છે ત્યારે ઠાકરે સરકારની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.
ફરી સંકટમાં આવી ઠાકરે સરકાર
મીડિયા અહેવાલ અનુસાર મહારાષ્ટ્રમાં ફરીવાર રાષ્ટ્રપતિ શાસનની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે ભાજપ અત્યારે દેશના પાંચ રાજ્યોમાં થઈ રહેલી ચૂંટણીમાં વ્યસ્ત છે તેથી રાજકીય પંડિતો માની રહ્યા છે કે પાંચ રાજ્યોમાં ચૂંટણી સમાપ્ત થયા બાદ મહારાષ્ટ્ર સરકારને ઘેરવાની તૈયારી ભાજપ કરી શકે છે. નોંધનીય છે કે સચિવ વાઝે જેના શિવસેના સાથે સંબંધો હોવાના આરોપ છે તે હવે NIAના શકંજામા છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે અંબાણીના ઘરની બહાર કાર વાઝેએ જ મૂકાવી હતી અને કારમાં મળેલો પત્ર પણ વાઝેએ પોતે જ લખ્યો હતો.
ગઠબંધન અત્યારે તો મજબૂત
આ ઘટનાક્રમ ચાલી રહ્યો હતો ત્યાં મહારાષ્ટ્રમાં પરમબીર સિંહના ટ્રાન્સફર બાદ તેમણે ઠાકરેને પત્ર લખીને અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ આરોપો બાદ માનવામાં આવી રહ્યું હતું કે એનએસપી અને શિવસેના વચ્ચે તિરાડ પડશે. પણ આ ઘટના બાદ બંને પાર્ટીઓ વધારે નજીક આવી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. એવામાં ભાજપ ફરી પ્રયત્ન કરી શકે છે કે આઘાડીની પાર્ટી વચ્ચે અસ્થિરતા થાય. ગઠબંધનની પાર્ટીઓની અંદર જ અસંતોષની ભાવનાને વધારવા માટે પ્રયત્નો કરવામાં આવી શેક છે.