મહારાષ્ટ્રમાં બહુ જ રાજકીય ડ્રામા ચાલ્યો. શિવસેના અને કોંગ્રેસની સાથે સરકાર બનાવવાની ચર્ચા વચ્ચે શરદ પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ સાથે મુલાકાત કરી અજિત પવારના સમર્થનથી સરકાર બનાવી લીધી. ત્યારે ચર્ચાઓ તેજ હતી કે શરદ પવાર અને નરેન્દ્ર મોદીની મુલાકાતમાં ગઠબંધન પર મહોર લાગી.
રાષ્ટ્રપતિ બનવા પર નહોતી થઇ વાતઃ શરદ પવાર
સુપ્રિયાને મંત્રી બનાવવાનો હતો પ્રસ્તાવ
અટકળો ત્યાં સુધી હતી કે પ્રધાનમંત્રી મોદીએ શરદ પવારને આગામી રાષ્ટ્રપતિ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. જોકે શરદ પવારે તે સ્પષ્ટતા કરી હતી કે આ અજિત પવારનો અંગત નિર્ણય હતો. શરદ પવારે સતત ધારાસભ્યોની સાથે બેઠક કરી શિવસેના, કોંગ્રેસની સાથે નવી સરકારનો રસ્તો સાફ કર્યો. હવે નવી સરકાર બન્યા બાદ શરદ પવારે પીએમ મોદી સાથે થયેલ મુલાકાતમાં શુવ વાત થઇ તે અંગે ખુલાસો કર્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઇના જણાવ્યા અનુસાર શરદ પવારે એક મરાઠી ચેનલના ઇન્ટરવ્યૂમાં પીએમ મોદી સાથે મુલાકાત પર ખુલીને વાત કરી. પવારે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ સાથે આવીને કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. તેમણે કહ્યું કે પીએમ મોદીએ દીકરી સુપ્રિયા સુલેને કેબિનેટ મંત્રી બનાવવાનો પણ પ્રસ્તાવ રાખ્યો હતો. મને રાષ્ટ્રપતિ બનાવવા જેવી કોઇ વાત નથી થઇ. શરદ પવારે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીના પ્રસ્તાવને મેં ઠુકરાવી દીધો હતો.
એનસીપીના અધ્યક્ષે જણાવ્યું કે પ્રધાનમંત્રીને કહ્યું કે આપણા સંબંધો બહુ સારા છે, તે સારા જ રહેશે પરંતુ મારા માટે સાથે આવીને કામ કરવું સંભવ નથી. ઉલ્લેખનીય છે કે સુપ્રીયા સુલે શરદ પવારના દીકરી છે. તેઓ પુણના બારામતી લોકસભાથી સાંસદ છે.