લોકસભાની ચૂંટણી ખતમ થયા બાદ હવે 2 ભાજપ શાસિત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની આજે તારીખોનું એલાન થયું છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના રોજ મતદાન કરવામાં આવશે અને 24 ઓક્ટોબરના રોજ બંન્ને રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. બંને રાજ્યોમાં ભાજપ સત્તામાં છે ત્યારે ભાજપની ઈચ્છા છે કે લોકસભા ચૂટણીમાં મળેલી ઐતિહાસિક જીતનો ફાયદો તેને વિધાનસભાની ચૂંટણીમાં પણ થાય.
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન
લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર ચૂંટણી
કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ ચૂંટણી
દેશના મોટા મુદ્દાઓની રાજ્યની ચૂંટણી પર પડશે અસર
ભારતમાં કોઈપણ ચૂંટણી થાય તેનું પોતાનું આગવું મહત્વ હોય છે ત્યારે આ વિધાનસભાની ચૂંટણી પણ રાજનૈતિક દ્રષ્ટિકોણ મુજબ મહત્વની છે. ભારતીય જનતા પાર્ટીને બહુમત મળ્યું તે બાદ દેશની રાજનીતિમાં ઘણો ફેરફાર આવી ગયો છે અને મોદી સરકારના બીજા કાર્યકાળમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે તેના પર જનતાનો શું મત છે તે આ ચૂંટણીમાં ખબર પડી જશે. મોદી સરકાર દ્વારા લેવાયેલા દરેક ફેસલાની અસર આ ચૂંટણી પર થવાની છે.
મોદી સરકારના દ્વારા 100 દિવસમાં કરાયેલા કામોને પોતાની ખૂબ મોટી ઉપલબ્ધી તરીકે ગણાવવામાં આવે છે. મોદી સરકારે આ કાર્યકાળમાં કલમ 370 ખતમ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ પહેલા ટ્રીપલ તલાકના વિરુદ્ધ કાયદો બનવવામાં આવ્યો, આવા પગલાં સમગ્ર દેશને અસર કરતા પરિબળો છે.
પીએમ મોદીની લોકપ્રિયતામાં થઇ રહ્યો છે વધારો
લોકસભામાં મળેલી જંગી બહુમતી બાદ વડાપ્રધાન મોદીથી લોકોની અપેક્ષાઓ પણ વધી ગઇ છે. વડાપ્રધાન મોદી તેમના ઐતિહાસિક પગલા લેવા માટે જાણીતા છે ત્યારે તેમણે બીજા કાર્યકાળમાં લીધેલા પગલા પર જનતાનો શું અભિપ્રાય છે તે આ ચૂંટણીના પરિણામોથી નક્કી થઇ જશે.
કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ ચૂંટણી
જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવીને ભાજપે જુનો વાયદો પૂરો કર્યો છે. સમગ્ર દેશમાં તેના પર ચર્ચા થઇ હતી. સરકાર દ્વારા આ ફેસલાને વિકાસ માટે જરૂરી ગણાવવામાં આવે છે જયારે વિપક્ષે આ મુદ્દા પર સરકાર પર આકરા સવાલો કર્યા હતા. આ મુદ્દો વિધાનસભાની ચૂંટણીમાં પણ બધી પાર્ટીઓ દ્વારા જોરશોરથી ઉઠાવવામાં આવે તેવી સંભાવના છે.
ટ્રીપલ તલાક બનશે અગત્યનો મુદ્દો
ભારતીય જનતા પાર્ટી દ્વારા ટ્રીપલ તલાકના વિરોધમાં ખુબ પ્રચાર કરવામાં આવ્યો હતો અને ટ્રીપલ તલાકના વિરોધમાં કાયદો બનાવ્યા બાદ તેને મુસ્લિમ મહિલાના હક માટે લાવવું જરૂરી હતું એમ પણ પ્રચાર કરવામાં આવ્યો હતો. પાછલા કાર્યકાળમાં આ બીલ રાજ્યસભામાંથી પસાર થઇ શક્યું નહોતું ત્યારે આ વર્ષે તેને મંજુરી મળી જતા સરકાર દ્વારા આ પગલાને ભાજપ તરફી કરવા માટે માહોલ બનાવા પુરા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
સોનિયા ગાંધીના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસની અગ્નિપરીક્ષા
લોકસભમાં મળેલા કારમા પરાજય બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.રાહુલ ગાંધીના રાજીનામાથી કોંગ્રેસ પાર્ટી મુંજવણમાં મુકાઇ હતી. ઘણા પ્રયત્નો છતાં રાહુલ ગાંધી ન માન્યા અને સંકટની પરિસ્થિતિમાં નેતૃત્વ કરવા માટે ફરીવાર સોનિયા ગાંધી આગળ આવ્યા. લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ જે મુદ્દાઓ ઉઠાવ્યા એમાં કોંગ્રેસને કોઈ મોટી સફળતા મળી શકી નહિ. હવે વિધાનસભા ચૂંટણીમાં સોનિયા ગાંધી કઈ રીતે આગેવાની કરીને પાર્ટીને આગળ લાવવા પ્રયત્નો કરે છે તે જોવાનું રહેશે.
મંદીના માહોલ વચ્ચે ચૂંટણી
વર્તમાન અર્થવ્યવસ્થાની કફોડી સ્થિતિ પર મોદી સરકાર સમગ્ર દેશના નિશાના પર છે. જોકે સરકાર તો અર્થવ્યવસ્થામાં મંદી હોવાનું સ્વીકાર પણ કરતી નથી. હાલમાં દેશમાં યુવાનોને રોજગાર એ જ્વલંત મુદ્દો છે ત્યારે મહારાષ્ટ્ર અને હરિયાણાના યુવાનો કોના તરફી મતદાન કરે છે તે સમગ્ર દેશ માટે જાણવાનો વિષય બની રહેશે.