મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ભાજપ માટે આંખ ઉઘાડનારાં સાબિત થનાર છે. એ જ રીતે પેટા ચૂંટણીનાં પરિણામો પણ ભાજપને પદાર્થ પાઠ ભણાવનારા છે. સાથે સાથે આ પરિણામો વિપક્ષો માટે સંજીવની સમાન પુરવાર થાય તેવા પણ છે.
અમેરિકાની ચૂંટણીના સંદર્ભમાં એક વાત કહેવામાં આવી હતી કે ઓલ પોલિટિક્સ ઇઝ લોકલ. ભારતમાં પણ હવે આ વાત સાચી પુરવાર થતી દેખાય છે. હરિયાણા, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોની સાથે સાથે પ૦થી વધુ વિધાનસભાની ચૂંટણીઓએ એ સ્પષ્ટ કરી દીધું છે કે કોઇ પણ પક્ષ માત્ર રાષ્ટ્રવાદની વાત કરીને લોકોનાં દિલ જીતી શકતો નથી.
રાજકીય પક્ષોએ રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે સાથે ખાસ કરીને જ્યારે રાજ્ય સ્તરની કે પ્રાદેશિક સ્તરની ચૂંટણીઓ હોય ત્યારે સ્થાનિક અને પ્રાદેશિક મુદ્દાઓને પ્રાધાન્ય આપવું પડે છે. આ ચૂંટણીમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને હરિયાણામાં કલમ-૩૭૦, ટ્રિપલ તલ્લાક, સર્જિકલ સ્ટ્રાઇક, રાષ્ટ્રવાદ જેવા મુદ્દાઓના આધારે પ્રચાર અભિયાન પૂરજોશથી હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ ભાજપ અને ખાસ કરીને પ્રાદેશિક ભાજપ પક્ષના એકમો સ્થાનિક મુદ્દાઓને સાવ ભૂલી જ ગયા હતા.
સ્થાનિક મુદ્દાઓની ઘોર ઉપેક્ષા કરવામાં આવી હતી એવું કહીએ તો પણ અતિશયોકિત ગણાશે નહીં. ભારત જેવા દેશના મતદારો સાચા અર્થમાં સતર્ક અને જાગૃત છે. આ બે રાજ્યો અને પેટા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટપણે દર્શાવી દીધું છે કે જો સ્થાનિક મુદ્દાઓની ઉપેક્ષા કરવામાં આવશે તો રાજકીય પક્ષો માટે બુમરેંગ પુરવાર થશે. બીજા શબ્દોમાં કહીઅે તો આ ચૂંટણીમાં મતદારોએ લોકશાહીના સાચા પ્રહરી તરીકે ભૂમિકા ભજવી છે.
આ ચૂંટણીનાં પરિણામોએ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોમાં એકાએક પ્રાણ ફૂંકયા છે. આ ચૂંટણીનાં પરિણામો વિપક્ષો માટે સંજીવની સમાન પુરવાર થયા છે. ખાસ કરીને ગુજરાતની પેટા ચૂંટણીના પરિણામોને પગલે કોંગ્રેસ પક્ષ ગેલમાં આવી ગયો છે. ગુજરાતના મતદારોએ આ ચૂંટણી દ્વારા પક્ષ પલટુઓને જોરદાર લપડાક લગાવી છે. ભાજપ કોંગ્રેસમાંથી ખેરવીને લાવવામાં આવેલા પક્ષપલટુઓને જીતાડી શકયો નથી.
મતદારોએ પક્ષ પલટુઓને હરાવીને રાજકીય પક્ષોને પણ વેધક સંદેશ આપ્યો છે કે જો તેેઓ પક્ષપલટાને પ્રોત્સાહન આપશે તો કયારેય ફાવશે નહીં.ભાજપને પણ પક્ષના સંગઠન અને કાર્યકરોની શિસ્ત અને નિષ્ઠાના ભરોસે ગમે તેવા નિર્ણયો લેવાની સજા મળી છે. આવો પદાર્થપાઠ જરૂરી હતો એવું નીચલા સ્તરના નેતાઓ અને કાર્યકરો સૌ સ્વીકારે છે.
મોવડીમંડળ કરે એ બધું બરાબર જ હોય એ સાચું નથી અને તેને શાશ્વત સત્ય તરીકે સ્વીકારીને ચાલી શકાય નહીં. આ ચૂંટણીએ રાજ્ય અને સ્થાનિક સ્તરે ભાજપના નેતાઓને એક એવો પણ પાઠ ભણાવ્યો છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આંગળી પકડીને કયાં સુધી ચાલશે? તેઓ કયાં સુધી મોદીની પ્રતિભા અને છબીનો લાભ લેતા રહેશે.
રાજ્ય અને પ્રાદેશિક સ્તરે પણ ભાજપના નેતાઓએ હાઇકમાન્ડના બદલે પોતાની તાકાત પર લોકોના કાર્યો કરવાનું કૌવત બતાવવાની જરૂર છે. સંસદીય ચૂંટણીમાં મોદીની લહેરનો લાભ લો તે બરાબર છે, પરંતુ સ્થાનિક અને પ્રાદેશિક સ્તરે તો જો તેઓ પ્રજાનાં કામો કરશે નહીં અને સ્થાનિક સમસ્યાઓનું નિરાકારણ લાવશે નહીં તો લોકો તેમને ઉખાડીને ફેંકી દેશે જે આ ચૂંટણીના પરિણામોમાં સ્પષ્ટ થઇ ગયું છે. આમ આ ચૂંટણીના એક નહીં, પરંતુ રાજકીય પક્ષો માટે અનેક બોધપાઠ છે.