કોરોના વાયરસે દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્ર પર કહેર વરસાવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા સૌથી વધારે છે. આ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસના સંક્રમણ પર કાબુ મેળવવા માટે કેન્દ્ર સરકારની જગ્યાએ કેરળ સરકારને અપીલ કરી છે કે મુંબઇમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે અનુભવી ડૉક્ટર અને નર્સ મોકલવામાં આવે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા સૌથી વધારે છે
મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસના સંક્રમણ પર કાબુ મેળવવા કેરળને મદદ કરવા કહ્યું
મુંબઇમાં બનનારી નવા 60 બેડ વાળી હોસ્પિટલ માટે ડૉક્ટરો અને નર્સોની જરૂર છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે ગત સપ્તાહે કેરળની સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજા સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લાંબી વાતચીત કરી. આ દરમિયાન કેરળમાં કોરોનાના કેસથી લડવાની રીત અને મોડલ પર ચર્ચા કરવામાં આવી.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના રોજ નવા રેકોર્ડ તુટી રહ્યા છે. રાજ્યમાં રવિવારે એક જ દિવસમાં 3000થી વધારે કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસની વચ્ચે મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં સૌથી વધારે નવા કેસ સામે આવ્યા છે. ગત 24 કલાકમાં રાજ્યમાં 3041 નવા કેસ સામે આવ્યા, જે બાદ અહીં સંક્રમણના કુલ કેસનો આંકડો વધીને 50,000ને પાર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં હવે કુલ 50,231 સંક્રમણના કેસ નોંધાયા છે.
આખા મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 1635 લોકોના મોત થયા છે. માત્ર મુંબઇમાં સંક્રમણના દર્દીઓની સંખ્યા 30,542 થઇ ગઇ છે. ગત 24 કલાકમાં અહીં 1725 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 39 લોકોના મોત થયા છે. આ પ્રકારે અહીં મૃત્યુ પામનારનો આંકડો 988 થઇ ગયો છે.
જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી રવિવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,31,868 થઇ ગઇ છે. જ્યારે આ વાયરસથી અત્યાર સુધીમાં 3867 લોકોના મોત થઇ ચૂક્યા છે.
ગત 24 કલાકમાં કોરોના વાયરસના 6767 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 147 લોકોના મોત થયા છે. જોકે રાહતની વાત એ છે કે દેશમાં અત્યાર સુધીમાં કુલ 54,441 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. દેશમાં કોરોના બીમારીથી રિકવરીનો રેટ સુધરીને 41.28 ટકા થયો છે.