કેન્દ્રિય કૃષિ કાયદાને લઈને NCPના સુપ્રીમો શરદ પવારે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. મુંબઈના આઝાદ મેદાનમાં ખેડૂતોના સમર્થનમાં લોકોના સંબોધન કરતા પવારે કહ્યું કે શું પંજાબ પાકિસ્તાનમાં છે. દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં મહારાષ્ટ્રના 21 જિલ્લાના ખેડુતો, મજૂરો અને અન્ય વર્ગના લોકો આવ્યા હતા.
મહારાષ્ટ્રના ખેડૂતોએ સરકારની ચિંતા વધારી
શરદ પવારે રાજ્યપાલ પર કર્યા આકરા પ્રહાર
કહ્યું- કંગનાને મળવાનો સમય છે પણ ખેડૂતો માટે નથી
પવારે આંદોલન કરતા ખેડૂતો પ્રત્યે કેન્દ્ર સરકારના વલણ અંગે સવાલ ઉઠાવ્યા હતા. દિલ્હીમાં પ્રજાસત્તાક દિનમાં ખેડુતો ટ્રેક્ટર રેલીની તૈયારી કરી રહ્યા છે. પવારે કહ્યું કે છેલ્લા 60 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે યુપી, હરિયાણા અને પંજાબના ખેડૂતો શિયાળો, તડકો અને વરસાદ જેવી મુશ્કેલીઓને ધ્યાનમાં લીધા વિના વિરોધ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અમે પંજાબના ખેડૂતો છીએ. પંજાબ શું પાકિસ્તાનમાં છે ? તેઓ આપણા ખેડૂતો છે. શિવસેનાની આગેવાનીવાળી મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં એનસીપી શામેલ છે.
મોદી સરકાર પર કર્યા પ્રહાર
પવારે કહ્યું કે સંસદમાં વિગતવાર ચર્ચા કર્યા વિના ખેતીના કાયદા પસાર કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર વિપક્ષની વાત સાંભળતી નથી, જ્યારે વિપક્ષના તમામ મોટા નેતાઓ સંસદમાં આગળ આવ્યા અને એક વિસ્તૃત ચર્ચાની માંગ કરી. એનસીપીના વડાએ કહ્યું, "અમે કહ્યું હતું કે આ કાયદાઓને પસંદગી માટે પ્રવર સમિતિમાં મોકલવા જોઈએ, કારણ કે ત્યાં તમામ પક્ષોના સભ્યો છે. પરંતુ કેન્દ્ર સરકારે કહ્યું કે ત્યાં કોઈ ચર્ચા થશે નહીં. અમે તે લાવ્યા છે અને અમે તેને ચર્ચા વિના પાસ કરીશું.પણ તમે બધા અહીં સમર્થન આપવા માટે આવ્યા છો. હવે ખેડૂતોની એકતા બતાવીને સરકારને કઠેડામાં ઉભી કરી દીધી છે.
મહારાષ્ટ્રના ખેડૂતોએ કર્યો વિરોધ
રવિવારે હજારો ખેડૂતો હાથમાં ઝંડા અને બેનર લઈને મુંબઈ તરફ આગેકૂચ કરી રહેલા એક વીડિયોમાં જોઈ શકાતું હતું. રસ્તામાં ખેડૂતો નારેબાજી કરતા પણ જોવા મળ્યા હતા. તમામ ખેડૂતો ઓલ ઈન્ડીયા કિશાન સભાના બેનર હેઠળ ભેગા થઈને એકીસૂરે કૃષિ કાયદાનો વિરોધ કરવા લાગ્યા હતા. ખેડૂતોએ કૃષિ કાયદાને રદ કરવાની સ્પસ્ટ માગ ઉઠાવી હતી. કિશાન મહાસભાના સંયોજક અશોક ધવલેએ એવું જણાવ્યું કે કૃષિ કાયદાની વિરૃદ્ધમાં બે મહિનાની ચળવળ લંબાવાનો અમારો પ્રયાસ છે. અમે સોમવારે આઝાદ મેદાનમાં શાંતિપૂર્ણ ધરણા કરીશું.
ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા શરદ પવારે દિલ્હીના ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કેન્દ્ર સરકારને આકરા પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી.ગત મહિને તેમણે આવી જ બીજી એક ચેતવણી આપીને કેન્દ્ર સરકારને ખેડૂતો માટે ઘટતું કરવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતોના ધૈર્યની પરીક્ષા ન કરવી જોઈએ. દિલ્હીમાં પંજાબના ખેડૂતોની ટ્રેક્ટર રેલીના બે દિવસ પહેલા જ મહારાષ્ટ્રના ખેડૂતોની આ રેલી કેન્દ્ર સરકારની ચિંતા વધારી શકે છે.