કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ NCP સુપ્રીમો શરદ પવારના નિવેદન બાદ શિવસેનાની ચિંતા વધારી દીધી છે. શરદ પવારે સોમવાર મુલાકાત બાદ કહ્યું હતું કે સોનિયા ગાંધી સાથે શિવસેના અંગે કે ન તો મહારાષ્ટ્રમાં સરકારને લઇને કોઇ મુદ્દા પર વાતચીત થઇ હતી. જો કે પવારના આ નિવેદન બાદ શિવસેનાનું સરકાર બનાવાને લઇને બ્લડ પ્રેશર વધી ગયેલું જોવા મળી રહ્યું છે.
NCP અધ્યક્ષ શરદ પવારના આ નિવેદન બાદ શિવસેનામાં પડદા પાછળ નેતાઓ વચ્ચે NCPને છોડી ભાજપ સાથે બીજી વખત સરકાર બનાવાને લઇને ચર્ચાઓ થઇ રહી હોવાની અટકળો તેજ બની ગઇ છે.
શિવસેનાની અંદર આ અંગેની ચર્ચાઓ થઇ રહી હોવાની અટકળો વચ્ચે એક ધારાસભ્યએ કહ્યું કે શરદ પવારના નિવેદનથી મને આશ્ચર્ય થયું છે. શિવસેનાના ધારાસભ્યએ જણાવ્યું કે આપણી પાર્ટીએ રાહ જોવી જોઇએ અને NCP સુપ્રીમો સાથે જતા પહેલા 10 વખત વિચાર કરવો જોઇએ.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઇને રોજ ટ્વિટ કરી રહેલા સંજયરાઉતે આજેપણ ટ્વિટ કરી કહ્યું છે કે જો જિદંગીમાં કંઇક મેળવવું હોય તો રીત બદલો ઇરાદો નહીં... જય મહારાષ્ટ્ર. આ ટવિટ આ વાતનો સંકેત આપી રહ્યું છેકે શિવસેના સરકાર બનાવવા માટે દરેક પ્રકારના વિકલ્પ પર આગળ વધવા તૈયાર છે.
દક્ષિણ મુંબઇથી એક શિવસેનાના વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યું છે કે પાર્ટીએ કોંગ્રેસ-NCP સાથે ગઠબંધન ન કરવું જોઇએ અને જો ભાજપ સાથે સંબંધ સારા ન થાય તો એકલા ચાલવું જોઇએ. જો ભાજપ નહીં તો શિવસેનાએ પોતાનો એજન્ડા છોડાયા વગર એકલું ચાલવું જોઇએ. પાર્ટી જો સમાન વિચારધારાવાળા પક્ષ સાથે ન જવા ઇચ્છતી હોય તો તેને એકલા હાથે લડાઇ લડવી જોઇએ.