મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે તેને લઇને જોકે તમામ પાર્ટીઓમાં ચર્ચાઓ શરૂ થઇ છે. ત્યારે વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો જીતનાર ભાજપને સરકાર બનાવવાને લઇને આત્મવિશ્વાસ છે. ભાજપે શપથગ્રહણ સમારોહ માટે મુંબઇના વાનખેડે સ્ટેડિયમને બુક પણ કરી દીધું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ભાજપે સ્ટેડિયમને 5 નવેમ્બર માટે બુક કર્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડની મંજૂરી બાદ સ્ટેડિયમ શપથ ગ્રહણ માટે ભાજપને મળી શકશે.
આ પહેલા મુંબઇ પોલીસ અને અધિકારીઓની ટીમે શુક્રવારે વાનખેડે સ્ટેડિયમની મુલાકાત લીધી. આ પહેલા મહાલક્ષ્મી રેસકોર્સને શપથગ્રહણ માટે પસંદ કરાયું હતું, પરંતુ મુંબઇ પોલીસના રિપોર્ટ બાદ જગ્યા બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો.
મહારાષ્ટ્રમાં સત્તાને લઇને ખેંચતાણ વચ્ચે ભાજપની સહયોગી પાર્ટી શિવસેના 50-50 ફૉર્મૂલા પર અડગ છે. ત્યારે, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ કોઇ પણ મોર્ચા પર પાછળ હટવા માટે તૈયાર નથી. ભાજપે એ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ગૃહ અને નાણા સહિતના મહત્વપૂર્ણ મંત્રાલયો પણ પોતાની પાસે જ રાખશે.
સરકાર બનાવવામાં મોડું કરવું સારું નથીઃ આદિત્ય ઠાકરે
શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ ગુરૂવાર સાંજે કહ્યું કે, સરકાર બનાવવામાં મોડું કરવું સારૂ નથી. ભાજપ સાથે વાતચીતને લઇને પૂછવામાં આવેલ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, તેમની પાર્ટીની ભાજપ સાથે કોઇ વાતચીત નથી થઇ. જોકે, તેમણે કહ્યું કે, તેમના પિતા ઉદ્ધવ ઠાકરે સરકાર બનાવવાનો અંતિમ નિર્ણય લેશે.
કોંગ્રેસ વિપક્ષમાં બેસવા માટે તૈયાર
બીજી તરફ શિવસેનાને સમર્થન આપવાના મુદ્દે કોંગ્રેસ વહેંચાઇ ગઇ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કોંગ્રેસ નેતા શિવસેનાને સમર્થન આપવા મુદ્દે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા માંગતા હતા, પરંતુ તેમની મુલાકાત ન થઇ શકી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કોંગ્રેસ વિપક્ષમાં બેસશે. સોનિયાનું ન મળવું સ્પષ્ટ છે કે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં તોડ-જોડના દમ પર સરકાર નહીં બનાવે અને વિપક્ષમાં બેસવું યોગ્ય સમજી રહી છે. તેવામાં કોંગ્રેસે શિવસેનાના સપનાઓ પર પાણી પેરવી દીધું છે.