મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય સંકટ અટકવાનું નામ નથી લઇ રહ્યું. આજે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા છે, ત્યારે શિવસેના નેતા સંજય રાઉત એનસીપી ચીફ શરદ પવારને પણ મળવા પહોંચ્યા છે. ભાજપ અથવા શિવસેનામાંથી અત્યાર સુધી કોઇએ પણ સરકાર બનાવવાનો દાવો નથી કર્યો, તેવામાં રાજકીય સંકટ વધી રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે, દેવેન્દ્ર ફડણવીસ ભાજપના નેતાઓ સાથે રાજભવન પહોંચ્યા છે. જ્યાં દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. સરકાર બનાવવાને લઇને ચાલી રહેલ વિવાદ વચ્ચે ફડણવીસ ભાજપના નેતાઓ સાથે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા પહોંચ્યા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું.
Mumbai: Maharashtra Chief Minister Devendra Fadnavis and other state ministers meet Governor Bhagat Singh Koshyari at Raj Bhawan. pic.twitter.com/grmCMrHLg9
મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મારી પાસે સારા સમાચાર છે. મારૂ રાજીનામું મંજૂર કરી લેવાયું છે. મને મહારાષ્ટ્રની સેવા કરવાનો મોકો મળ્યો. હું મહારાષ્ટ્ર, મોદી, શાહ, નડ્ડા અને અમારા તમામ નેતાઓનો આભારી છું. પ્રેસ કોન્ફરન્સમાં શિવસેનાનું નામ લીધા વિના ફડણવીસે હસીને કહ્યું કે સહયોગીનો આભાર.
ફડણવીસે કહ્યું કે, અઢી અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદને લઇને કોઇ વાયદો આપ્યો ન હતો. મારી સામે ક્યારે પણ અઢી વર્ષ મુખ્યમંત્રી પદને લઇને ચર્ચા નથી થઇ. ઉદ્ધવે સરકાર બનાવવાની વાત કરી હતી. મહારાષ્ટ્રમાં જનાદેશ ગઠબંધનને મળ્યો હતો.
ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીઃ ફડણવીસ
ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રમાં અમને લોકસભા ચૂંટણી દરમિયાન એક મોટો જનાદેશ મળ્યો અને ત્યાં સુધી કે વિધાનસભામાં પણ અમે સહયોગીના રૂપમાં ચૂંટણીઓનો સામનો કરવો પડ્યો. મહાગઠબંધનને સ્પષ્ટ જનાદેશ મળ્યો. અમે 160થી વધુ બેઠક જીતવામાં સફળ રહ્યા. ભાજપ 105 બેઠકોની સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે.
સંજય રાઉત પણ પહોંચ્યા શરદ પવારને મળવા
રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (અઠાવલે) ના અધ્યક્ષ રામદાર અઠાવલે બાદ શિવસેનાના સંજય રાઉત પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારને મળવા માટે પહોંચ્યા છે.
શિફ્ટ કરાયા શિવસેનાના ધારાસભ્ય
મહારાષ્ટ્રમાં સરકાર ગઠબંધનને લઇને અસમંજસ ચાલી રહી છે. આ વચ્ચે શિવસેનાએ પોતાના ધારાસભ્યોને હોટલ રંગશારદાથી બીજી હોટલમાં શિફ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. રંગશારદાની બહાર બે બસ ઊભી છે, જેમાં ધારાસભ્યો સવાર છે. જોકે, ધારાસભ્યો ક્યાં બદલાશે તે સ્પષ્ટ નથી. શિવસેનાના ધારાસભ્ય અબ્દુલ સત્તરે કહ્યું કે હોટલમાં જગ્યા ઓછી છે, તેથી અમે બીજી હોટલમાં શિફ્ટ થવા જઈ રહ્યા છીએ. એક ઓરડામાં ત્રણ ધારાસભ્યો રહ્યા હતા.