મહારાષ્ટ્રમાં સરકાર બનવાને લઇને છેલ્લા 48 કલાકથી ધમાસાણ ચાલી રહ્યું છે ત્યારે રાજ્યમાં સરકાર બનશે કે રાષ્ટ્રપતિ શાસન લાગશે તે અંગેનું ચિત્ર આજરોજ સ્પષ્ટ થઇ જશે. રાજ્યપાલ દ્વારા ભાજપ અને ત્યારબાદ શિવસેનાને સરકાર રચવા આમંત્રણ આપ્યા બાદ હવે NCPને સરકાર બનાવાને લઇને આજ સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
આજે થઈ શકે છે મહારાષ્ટ્રના ભાવિનો ફેંસલો
NCP સરકાર ન બનાવી શકે તો લાગી શકે છે રાષ્ટ્રપતિ શાસન
અગાઉ ભાજપ-શિવસેનાને રાજ્યપાલે આપી હતી ઓફર
મહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઇને કોકડું વધુ ગૂંચવાયું
મહારાષ્ટ્રમાં રાજ્યપાલ દ્વારા સૌ પ્રથમ મોટા પક્ષ તરીકે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું. તેમ છતાં ભાજપે સરકાર બનાવાને ઇન્કાર કર્યા બાદ રાજ્યપાલે શિવસેનાને બીજા સૌથી મોટા પક્ષ તરીકે સરકાર બનવા આમંત્રણ આપ્યું હતું. જો કે બહુમતિ નહીં હોવાના કારણે શિવસેના પણ સરકાર રચવાનો દાવો ન કરી શકતાં અંતમાં ત્રીજા સૌથી મોટા પક્ષ તરીકે NCPને સરકાર રચવા આજ સાંજ સુધીનો સમય આપ્યો છે.
જો અને તો ના સમીકરણ વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણ માટે આજનો દિવસ મહત્વનો સાબિત થશે. જો NCP સરકાર ન બનાવી શકે તો રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. NCPને સરકાર બનાવવા રાજ્યપાલ દ્વારા આજ સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ પાસે શું છે વિકલ્પ?
રાજ્યપાલ પાસે સૌથી પહેલો વિકલ્પ એ હોય શકે કે જ્યાં સુધી નવી સરકાર ન બને ત્યા સુધી તેઓ દેવેન્દ્ર ફડનવીસને કાર્યવાહક CM બનાવી રાખે. બીજા વિકલ્પ તરીકે તેઓ સૌથી મોટી પાર્ટીના કોઈને નેતાને મુખ્યમંત્રી બનાવે અને ત્યાર બાદ તે પાર્ટીને વિધાનસભામાં બહુમતિ સાબિત કરવી પડે. જોકે, હાલ તો ભાજપ વિધાનસભામાં બહુમતિ સાબિત કરી શકે તેવા કોઈ સમીકરણો બનતા નજરે નથી પડી રહ્યા. ત્યારે ત્રીજા વિકલ્પ તરીકે રાજ્યપાલ વિધાનસભાને પોતાનો નેતા પસંદ કરવા કહી શકે છે. આ તમામ વિકલ્પો ઉપરાંત પણ કોઈ સરકાર ન બને તો રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસન માટે ભલામણ કરી શકે છે.