મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય મડાગાંઠ વચ્ચે હવે સૌ કોઇના મનમાં એક જ પ્રશ્ન થઇ રહ્યો છે કે રાજ્યમાં સરકાર રચવાની બાબતમાં આગળ શું થશે?
શિવસેના-ભાજપ બંનેએ ગઠબંધન તોડવાની જાહેરાત કરી નથી
ભાજપ-શિવસેના સરકાર રચવા અસમર્થતા જાહેર કરે તો રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે
છ મહિના બાદ થનારી મધ્યવર્તી ચૂંટણીમાં ભાજપ એકલા હાથે લડી શકે છે
રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી એક દિવસ અગાઉ મહારાષ્ટ્રના સિનિયર એડવોકેટ આશુતોષ કુંભકોણીને બોલાવીને સરકારની રચના અંગેની તમામ સ્થિતિ પર ચર્ચા કરી ચૂકયા છે. શુક્રવારે સાંજે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા બાદ રાજ્યપાલે તેમને કાર્યકારી મુખ્યપ્રધાન તરીકે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કામ કરતા રહેવા જણાવ્યું છે. જોકે આ વ્યવસ્થા હવે વધુ દિવસો સુધી ચાલી શકે તેમ નથી.
શિવસેના-ભાજપ બંનેએ ગઠબંધન તોડવાની જાહેરાત કરી નથી
રાજ્યપાલ પાસે પ્રથમ વિકલ્પ સૌથી મોટા પક્ષ કે ચૂંટણી પૂર્વે થયેલા ગઠબંધનને તક આપવાનો છે. ભાજપના નેતા સુધીર મુંગટીવાર સ્પષ્ટ કરી ચૂકયા છે કે ભાજપ હવે લઘુમતી સરકાર નહીં રચે. બીજી બાજુ તમામ વિવાદ અને કટુતા છતાં શિવસેના-ભાજપ બંનેએ ગઠબંધન તોડવાની જાહેરાત કરી નથી. કેન્દ્ર સરકારમાં હજુ પણ શિવસેનાના નેતા અરવિંદ સાવંત પ્રધાન તરીકે ચાલુ છે.
ભાજપ-શિવસેના પોતપોતાના અહમ પર અક્કડ દેખાયા
ગઇકાલે દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે પત્રકાર પરિષદમાં બેમાંથી એકે પણ એવું કહ્યું નથી કે ભાજપ-શિવસેના ગઠબંધન સરકાર રચાવાની શકયતા સમાપ્ત થઇ ગઇ છે. બંને નેતા પોતપોતાના અહમ પર અક્કડ દેખાયા હતા. હવે જો સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલ ભાજપ સરકાર રચવાની અસમર્થતા વ્યકત કરે તો રાજ્યપાલ બીજા નંબરના સૌથી મોટા પક્ષ શિવસેનાને પણ સરકાર રચવા આમંત્રણ આપી શકે છે અને શિવસેના પાસે ૧૪પ ધારાસભ્યોના સમર્થનની યાદી માગી શકે છે અથવા તેમની ઓળખ પરેડ યોજવાની શરત મૂકી શકે છે.
કોંગ્રેસ-એનસીપીના કેટલાય નેતાઓ પહેલેથી એવું કહી ચૂકયા છે કે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે શિવસેનાને બહારથી સમર્થન આપીને સરકાર રચવા દેવી જોઇએ, પરંતુ રામજન્મભૂમિ ખાતે ભવ્ય મંદિર નિર્માણની પ્રખર હિમાયતી રહેલ શિવસેનાની સરકારને સમર્થન આપવું કોંગ્રેસ-એનસીપીને ભારે પડી શકે છે.
છ મહિના બાદ થનારી મધ્યવર્તી ચૂંટણીમાં ભાજપ એકલા હાથે લડી શકે છે
પ્રથમ બે મોટા પક્ષ સરકાર રચવામાં નિષ્ફળ જાય તો રાજ્યપાલ પાસે ત્રીજો વિકલ્પ રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરવાનો રહે છે. ૭૦ ટકા સ્ટ્રાઇક રેટ સાથે ૧૦પ સીટ જીતનાર સૌથી મોટા પક્ષ ભાજપને પણ આ શક્યતા પોતાના હિતમાં જણાય છે. અયોધ્યા મંદિરની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ ભાજપને ફરીથી પોતાની તરફેણમાં માહોલ બનાવવાની તક મળી શકે છે. છ મહિના કે વર્ષ બાદ થનારી મધ્યવર્તી ચૂંટણીમાં એકલા હાથે લડીને ભાજપ સત્તામાં વાપસીની કોશિશ કરી શકે છે.