દુનિયાની સૌથી વિશાળ લોકશાહી એવા ભારતને બંધારણ ભલે એકસૂત્રે સાંકળી રહ્યું હોય. પરંતુ અહીં સાંસ્કૃતિક વિવિધતા અને પ્રાદેશિક અસ્મિતાના એવા તો મજબૂત તાણાવાણા ગૂંથાયેલા છે કે તેની સામે નિયમોને ઝુકવું પડે છે. આ વાતનો પ્રત્યક્ષ અનુભવ મહારાષ્ટ્ર સરકારની શપથવિધિ વખતે થયો.
નામ સ્મરણનો અનેરો મહિમા
ઠાકરે સરકારના મંત્રીઓએ કર્યું નિયમોનું ઉલ્લંઘન
શપથ લેતી વખતે શિવાજી મહારાજ અને બાલા સાહેબને કર્યા યાદ
નોંધનીય છે કે, અહીં મંત્રીઓએ બંધારણે પ્રસ્થાપિત કરેલી પરંપરાથી વિપરિત રીતે શપથગ્રહણ કર્યા. કોઈએ છત્રપતિ શિવાજી મહારાજનું સ્મરણ કર્યું તો કોઈએ બાલા સાહેબ ઠાકરેને યાદ કર્યા, કોઈએ સોનિયા ગાંધીના નામથી શરૂઆત કરી તો કોઈએ શરદ પવારને યાદ કર્યા.
શિવસેનાની મહેચ્છા થઇ પૂર્ણ
આખરે શિવસેનાને જેની મહેચ્છા અને મહત્વકાંક્ષા હતી તે દિવસનો તે સાક્ષી બની ગયો. મહારાષ્ટ્રની રાજનીતિનું પરોક્ષ સુકાન છેલ્લાં 60 વર્ષથી છે તેના નૂતન વારસદારોએ હવે પ્રત્યક્ષ રીતે સત્તાના સૂત્રો સંભાળી લીધા. પરંતુ સત્તાના સિંહાસને આરુઢ થતા પહેલાની શપથ પરંપરામાં થયેલો નિયમભંગ ઘણાને ખટકી ગયો.
બંધારણમાં નક્કી કરાઇ છે શપથ લેવાની પ્રક્રિયા
કેમ કે બંધારણ દ્વારા હોદ્દાના અને ગોપનીયતાના શપથ લેવાની એક નિશ્ચિત પ્રક્રિયા નક્કી કરાઈ છે. પદના શપથની શરૂઆત. ઈશ્વરના નામે શપથથી કરવાની હોય છે.જ્યારે ગોપનીયતાના શપથની શરૂઆત `હું' શબ્દથી કરવાની હોય છે. ત્યાર બાદ મુખ્યમંત્રી કે મંત્રીએ પોતાનું નામ લેવાનું હોય છે.
ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણની શરૂઆતમાં છત્રપતિ શિવાજીનું નામ લીધું
પરંતુ મહારાષ્ટ્ર સરકારની શપથવિધિમાં વિધિનિર્મિત પરંપરાનો ભંગ થયો અને પ્રાદેશિક અસ્મિતાના જાહેર એકરારનો નવો નિયમ પ્રસ્થાપિત થયો. જેની શરૂઆત ખુદ શિવસેના વડા ઉદ્ધવ ઠાકરેએ કરી. ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણની શરૂઆતમાં છત્રપતિ શિવાજી મહારાજનું નામ લીધું અને બાલા સાહેબ ઠાકરેનું સ્મરણ કર્યું. ભલે એ તેમની ભાવના હોઈ શકે પરંતુ દેશની પ્રાદેશિક એકતાના પ્રસ્થાપિત નિયમથી વિરુદ્ધ હતું.
ઠાકરે સરકારના મંત્રીઓ બાલા સાહેબને કર્યા યાદ
શિવસેનાના પ્રમુખ અને નવનિયુક્ત મુખ્યમંત્રીએ જ્યારે મરાઠી અસ્મિતાના રખોપાનો સંદેશો દઈ દીધો હોય તો પક્ષના અન્ય નેતાઓ તેને કેમ ન અનુસરે ? કેમ કે તેના પર તો તેમનું રાજકીય અસ્તિત્વ ટકેલુ છે. એટલે જતો શિવસેનાના નેતા એકનાથ શિંદેએ પણ ઈશ્વર પહેલા બાલા સાહેબને અને પોતાના તમામ નેતાને યાદ કરવા પડયા.
તેમના પછી શપથ ગ્રહણ કરવા આવેલા સુભાષ દેસાઈએ પણ રાજ્યપાલની સૂચનાને નજર અંદાજ કર્યો. રાજ્યપાલ 'મૈં' બોલ્યા કે તેમણે જાણે પોતે છત્રપતિ શિવાજી હોય તે રીતે છત્રપતિ શિવાજીના નામથી શપથની શરૂઆત કરી..
પોતાના રાજકીય નેતાઓને વંદન અને પોતાની પ્રાદેશિક મરાઠી અસ્મિતાના ગૌરવને જાહેર કરવાની ફરજ માત્ર શિવસેનાના નેતાઓને જ પડી એવું નથી. આ રાજ્યમાં એક સમયે ઉગીને આથમી ગયેલા કોંગ્રેસ અને એનસીપી જેવા બીજા પણ અનેક પક્ષોને પોતાના નેતાઓ સાથે સાથે છત્રપતિ શિવાજી મહારાજ અને બાલાસાહેબ ઠાકરેનું નામસ્મરણ કરવું જ પડયું...
પ્રાદેશિક અસ્મીતા ભક્તિમાં નિયમોનું ઉલ્લંઘન
શપથગ્રહણ દરમિયાન નવનિયુક્ત મંત્રીઓમાંથી તમામે પ્રાદેશિક અસ્મીતા ભક્તિમાં નિયમોનું ઉલ્લંઘન કર્યું. રાજ્યપાલ દ્વારા શપથગ્રહણ શરૂ કર્યા છતાં તેમની વાત કાપીને પોતાના નેતાઓને યાદ કર્યા અને મરાઠી બહુમતિમાં સ્થાન જમાવવા શિવાજી અને બાળા સાહેબને પણ યાદ કર્યા. કેમ કે, મહારાષ્ટ્રમાં મરાઠી અસ્મીતા તરફનો ઝુકાવ અને નેતાભક્તિ પર દરેક નેતાના રાજકીય અસ્તિત્વનો આધાર છે.