મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ખેડૂતો વચ્ચે વાતચીત પૂર્ણ થઇ ગઇ છે. મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોની તમામ માંગો માની લીધી છે. સરકારે લેખિતમાં વગર કોઇ શર્તે માંગો સ્વીકારી લીધી છે. વાતચીત બાદ ખેડૂતોનું પ્રતિનિધિમંડળ આઝાદ મેદાનમાં એકઠા થયેલ ખેડૂતો પાસે પહોંચ્યા અને જણાવ્યું કે મુખ્યમંત્રી સાથે ક્યા મુદ્દાઓ પર વાત થઇ. પ્રતિનિધિમંડળે આ પણ જણાવ્યું કે સરકાર તરફથી ખેડૂતોને શું આશ્વાસન મળ્યું છે.
આ પહેલા મહારાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો મુંબઇના આઝાદ મેદાન પહોંચ્યા હતા. ખેડૂતોનું પ્રતિનિધિમંડળે રાજ્યના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરવા માટે વિધાનસભા બહાર એકઠા થયા હતા. તેની સાથે જ મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ મહાજન પણ હાજર છે. ખેડૂતોની માગ છે કે સરકાર તેમને લેખિતમાં આશ્વાસન આપે તો જ તેઓ પરત ફરશે. ત્યારે ગિરીશ મહાજને કહ્યું કે આદિવાસી જમીનને લઇને ખેડૂતો વચ્ચે કેટલીક ગેરસમજ છે જેને ટુંક સમયમાં જ દૂર કરવામાં આવશે. તેમણે કહ્યું કે હવે ખેડૂતોને ધરણા પર બેસવાની કોઇ જરૂર નથી.
જણાવી દઇએ કે મહારાષ્ટ્રના ખેડૂતો એક વાર ફરીથી પોતાની માગોને લઇને 2 દિવસીય પ્રદર્શન હેઠળ ગુરૂવારે સવારે 11 કલાક આસપાસ મુંબઇ આઝાદ મેદાન પહોંચ્યા હતા.
ખેડૂત અને આદિવાસી લોક સંઘર્ષ સમિતિના બેનર હેઠળ હજારો ખેડૂતો પોતાની માગોને લઇને પ્રદર્શન કરતા સવારે 4.30 કલાકે ચબનાભટ્ટીના સોમૈયા મેદાનથી મુંબઇના આઝાદ મેદાન માટે રવાના થયા હતા. મહત્વનું છે કે પોતાની માગોને લઇને ખેડૂતોએ બુધવારે થાણેમાં પ્રદર્શન શરૂ કર્યું હતં.